Gujarat

૨૬૪ કરોડના ખર્ચે પાણી-ગટરની લાઈન બદલાઈ રહી છે, કોટવિસ્તારના ૫૦ એરિયામાં પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલાશે

By GS TEAM
15 May 20262 mins read
૨૬૪ કરોડના ખર્ચે પાણી-ગટરની લાઈન બદલાઈ રહી છે, કોટવિસ્તારના ૫૦ એરિયામાં પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલાશે

અમદાવાદ,શુક્રવાર,15 મે,2026

અમદાવાદના મધ્યઝોનમાં પચાસ એરિયા હાઈરિસ્ક જાહેર કરવામા આવેલા છે. રુપિયા ૨૬૪ કરોડના ખર્ચથી પચાસથી પણ વધુ વર્ષ જુની પાણી અને ગટરની લાઈન બદલવામા આવી રહી છે.અસારવા, શાહીબાગ,દરિયાપુર,જમાલપુર અને ખાડીયા વોર્ડમાં પાણીમાં આવતા પોલ્યુશનનીસમસ્યા ડિસેમ્બર-૨૭ સુધીમા પુરી થવાની સંભાવના છે. કામગીરી ધીમી ચાલવા પાછળના મુખ્ય કારણોમાં મધ્યઝોનમાં આવેલા સાંકડા અને ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા રસ્તા છે.કેમકે આ પ્રકારની પરિસ્થિતિમાં પાઈપલાઈન બદલવુ ખુબ કપરુ બની રહે છે.

મધ્યઝોનની ભૌગોલિક પરિસ્થિતિ જોતા સાંકડી ગલીઓ,રસ્તાઓ ઉપર કે ચાલી અથવા તો ખડકીમા આવેલી હયાત પાણીની લાઈન વર્ષો જુની ઓછા વ્યાસની કાસ્ટ આર્યનની જમીનમાં ઘણી ઉંડાઈમાં નાંખવામા આવેલી છે.અમુક જગ્યાએ પાણીની લાઈન હયાત ડ્રેનેજ લાઈનથી નીચે હોવાથી કાસ્ટ આર્યન પાઈપમાં કલોરીનના કારણે કાટ લાગી જવાથી તેનો વ્યાસ ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં પાણીનુ પ્રેસર ઘટી જવાથી પોલ્યુશન વધી શકે છે.આમ જયાં પાણીનુ પ્રેસર ઓછુ હોય ત્યાં પોલ્યુશન આવવાની સંભાવના વધી જાય છે.મધ્યઝોનના તમામ છ વોર્ડમાં આવેલી વર્ષો જુની પાણી અને ગટર લાઈન બદલવા ડ્રેનેજ લાઈનના  ડાયામીટરમાં ચેઈન્જ કરી તે મુજબના ગ્રેડીયન્ટથી નવી ડ્રેનેજ લાઈન નાંખવામા આવી રહી છે.કામગીરી પુરી થવાથી મધ્યઝોનના છ વોર્ડમા રહેતા  અંદાજે એક લાખ રહેણાંકોને પાણીના પોલ્યુશનથી રાહત મળશે.

ઉંદરો કાતરી ના જાય એવી પાઈપલાઈન નંખાઈ રહી છે

મધ્યઝોનના એડીશનલ સિટી ઈજનેર અમિત પટેલે કહયુ,ડ્રેનેજ નેટવર્કમાં ગલી,પોળો અને ચાલીઓમા ઉંદરોના કારણે ડ્રેનેજ લાઈન અને મશીનહોલ ચેમ્બરમાં ચોકીંગના પ્રશ્નો ઉદ્દભવે છે.આવનારા પંદર કે વીસ વર્ષમાં ફરી આ પરિસ્થિતિ ના સર્જાય એ માટે બેવડી દિવાલવાળી પાઈપ નાંખવામા આવી રહી છે.છ વોર્ડમાં અત્યારસુધીમા અંદાજે ૩૩૩૦૦ મીટર જેટલી લંબાઈમા ડ્રેનેજલાઈન તથા ૨૬૨૦૦ મીટર જેટલી લંબાઈમા પાણીની લાઈન બદલવાની કામગીરી પુરી કરવામા આવી છે.

કયા વોર્ડમાં કેટલા હાઈરિસ્ક એરિયા

જમાલપુર-કાચની મસ્જિદ,લેબર કવાટર્સ, સરદાર ફલેટ,ખાંડની શેરી, ધાબાવાળી ચાલી, મહાજન વાડો, ગાજીપીર, કુંભારવાડો,લંબી શેરી,પાંચ પીપળી,બાવાજીની પોળ, જમાલપુર ચકલા,મુંડા દરવાજા, જગદીશ મંદિરની ચાલી, મ્યુનિસિપલ સ્ટાફ કવાટર્સ, ફાયરબ્રિગેડ કવાટર્સ,મુનશીનો વાડો,શાહપુર મિલ કમ્પાઉન્ડ,કલાવિહાર સોસાયટી, કસાઈવાડો,મોરકસવાડો,

ખાડીયા-કે.કા.શાસ્ત્રીનગર,બોરડી મિલની ચાલી, ભવાનપુરાની ચાલી, હીરાલાલની ચાલી, રૃઘનાથપુરાની ચાલી.ચુનારાવાસ

શાહપુર-જુલીયાવાડો, અમીના ફલેટ, કુંભારવાળી પોળ, પોલીસલાઈન,સરદારકુંજ સોસાયટી, શાહજહાન મહોલ્લો, ચિનાઈગરાની પોળ, જુના દાણાપીઠ,વનમાળી વાંકાની પોળ, શાહપુર વડ, ગવર્મેન્ટ એ કોલોની,મહાકાળી એરિયા, તાતામિલની ચાલી.મફતલાલની ચાલી,બાબુભાઈની ચાલી, મેડાવાળી ચાલી, સાકળચંદ મુખીની ચાલી,જહાંગીર વકીલ મિલની ચાલી,રામદેવપુરાની ચાલી, જયુપીટર મિલની ચાલી