પેટલાદના અગાસ ગામે ઘરમાંથી રૂા. 1.61 લાખની મતા ચોરાઈ
- રૂમની બારી ખોલી સળિયા વાળી તસ્કરો પ્રવેશ્યા
- નિવૃત્ત દંપતી ઓસરીમાં સૂતું હતું ત્યારે અજાણ્યા શખ્સો દાગીના, રોકડ લઈ પલાયન
અગાસ ગામના બોરીયા રોડ ઉપર કૃષ્ણ વિલા ખાતે રહેતા મહેન્દ્રસિંહ અજબસિંહ રાજ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર અન્ય રાજ્યમાં અભ્યાસ કરે છે. ગત તા. ૩૦મીના રોજ મહેન્દ્રસિંહ તથા તેમના પત્ની મુખ્ય દરવાજાને તાળું મારી ઓસરીમાં સૂઈ ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરો રૂમની સ્લાઇડર બારી ખોલી લોખંડના સળિયા વાળી મકાનમાં પ્રવેશ્યા હતા. તિજોરીનું તાળું તોડી સોના- ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧.૬૧ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે મહેન્દ્રસિંહ વોશરૂમ ગયા બાદ સુવા જતા બેડરૂમનો દરવાજો ખુલ્લો જોયો હતો. ઘરમાં જઈ તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર પડેલો જોવા મળતા ચોરી થયાની જાણ થઈ હતી.
આ બનાવ અંગે મહેન્દ્રસિંહ રાજની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.