- 7 વિધાનસભા વિસ્તારમાં ડોર ટુ ડોર ફોર્મ વિતરણ શરૂ
- 1699 બીએલઓ, 206 સુપરવાઈઝર અને બાવન બૂથ લેવલ એજન્ટને એસઆઈઆરની તાલીમ અપાઈ : એક મહિના સુધી કામગીરી ચાલશે
આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન નીચે મતદાર યાદી સુધારણા ઝુંબેશ (એસઆઈઆર)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી ૪ ડિસેમ્બર સુધી એટલે કે એક મહિના સુધી ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવશે.
ત્યારે આજથી સમગ્ર જિલ્લામાં બુથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને સમજાવી મતદાર ગણતરી ફોર્મના વિતરણની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
આણંદ જિલ્લાની તમામ ૭ વિધાનસભામાં મતદાર વિભાગના બીએલઓ દ્વારા તેમને આપવામાં આવેલા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું નાગરિકોને સમજાવટ સાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં સાત વિધાનસભામાં ૮૦૧૬ જેટલા મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરીને નાગરિકોને ફોર્મમાં વિગતો કેવી રીતે ભરવી તેની ઝીણવટપૂર્વકની વિગતોથી વાકેફ કરાયા હતા. આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ૧૬૯૯ બીએલઓ, ૨૦૬ સુપરવાઈઝર અને બાવન બૂથ લેવલ એજન્ટોની નિમણૂક બાદ તાલીમ પણ આપવામાં આવી હતી.


