ગણેશ વિસર્જન માટે ૧.૭૪ કરોડના ખર્ચે મ્યુનિ.કોર્પો.એ ૪ કૃત્રિમ તળાવ બનાવ્યા
નાનીમોટી ૫૫૦૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી શક્યતા
વડોદરા,તા.22 સપ્ટેમ્બર,શનિવાર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ મ્યુનિ. કોર્પોરેશનો અને નગરપાલિકાઓ દ્વારા તળાવો અને પાણીના સ્ત્રોતોની જાળવણી અને પાણી પ્રદૂષિત ન થાય તેનું ધ્યાન રાખવા આદેશ કર્યો હતો. જેના પગલે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણચાર વર્ષથી કૃત્રિમ તળાવો ગણેશ વિસર્જનને અનુલક્ષીને બનાવવામાં આવે છે. આ વખતે મ્યુનિ. કોર્પોરેશને રૃા.૧.૭૪ કરોડના ખર્ચે ચાર કૃત્રિમ તળાવ બનાવ્યા છે. જેમાં ૫૫૦૦થી વધુ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી શક્યતા છે.
ગણેશોત્સવમાં મોટાભાગની મૂર્તિઓ પીઓપીમાંથી બનાવેલી હોય છે. મૂર્તિઓ બનાવવામાં વપરાતા મટિરિયલ્સ અને રંગ-રસાયણોને કારણે પાણી દૂષિત બને છે અને જળચર સૃષ્ટિને નુકસાન થાય છે. કૃત્રિમ તળાવો પ્રત્યે લોકજાગૃતિ આવતા તેનો ઉપયોગ શરૃ થયો છે. કોર્પો.એ ગયા વર્ષે આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રૃા.૧૭.૮૪ કરોડના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું, અને બીજુ તળાવ ગોરવા ખાતે બનાવ્યું હતું. ગયા વર્ષે આ બંને તળાવમાં નાનીમોટી ૪ હજાર મૂર્તિઓનું વિસર્જન થયું હતું. ૨૦૧૬માં ગોરવા ખાતે એક અને ૨૦૧૫માં રૃા.૬૨ લાખના ખર્ચે ત્રણ કૃત્રિમ તળાવનું નિર્માણ કરાયું હતું.
આ વર્ષે નવલખી, ગોરવા - દશામા તળાવ પાસે, આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ અને ડભોઇ રોડ - સોમાતળાવ ખાતે ચાર કૃત્રિમ બનાવ્યા છે. સરેરાશ ત્રણ ચાર મીટર ઊંડા બનાવેલા આ તળાવમાં તળિયે અને આજુબાજુ પાળા ઢંકાઇ જાય તે રીતે પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક પાથરવાનો ખર્ચ રૃા.૨૬.૫૬ લાખ થયો છે. આ ચારમાંથી સૌથી મોટું નવલખી ખાતે બનાવાયું છે. ચારેય તળાવમાં પ્રથમ, ત્રીજા, પાંચમા અને સાતમા દિવસે વિસર્જન પ્રક્રિયા થઇ ચૂકી છે. આ વખતે સૂરસાગર ખાતે બ્યુટિફિકેશનની કામગીરી ચાલતી હોવાથી ત્યાં વિસર્જન પ્રક્રિયા નહીં થાય.
-ચાર કૃત્રિમ તળાવોને લગતી વિગતો નીચે મુજબ છે.
તળાવ ઊંડાઈ પહોળાઈ ક્ષમતા-પાણી ખર્ચ
(૧) નવલખી ચાર મીટર ૮૦ X ૭૫ મી. ૩ કરોડ લિટર ૧.૧૪ કરોડ
(૨) સોમાતળાવ ૩ મીટર ૩૦ X ૩૫ મી. ૪૫ લાખ લિટર ૨૨ લાખ
(૩) દશામા ૩ મીટર ૩૫ X ૩૭ મી ૫૫ લાખ લિટર ૧૩ લાખ
(૪)લેપ્રસી ગ્રાઉન્ડ ૩ મીટર ૫૦ X ૫૦ મી ૧ કરોડ લિટર ૨૫ લાખ