વડોદરાના માંજલપુરમાં લોકોએ હોબાળો મચાવતા તંત્ર એક્શનમાં આવ્યું : લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવ્યા
Vadodara : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માંજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું હતું તેમના નિવાસ્થાને અનેક લોકો ગઈકાલે રાત્રે મળવા આવતા હતા ત્યારે બહાર ઊભા રહેતા લારી ગલ્લાને કારણે મુશ્કેલી પડતી હતી. જે અંગે હોબાળો થતા આજે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવી લારી ગલ્લા અને ગેરકાયદે ઓટલા હટાવી દેવાની ફરજ પડી હતી.
વડોદરા માંજલપુર વિસ્તારના વોર્ડ નં.18માં મોલ પાસે આવેલ ધન લક્ષ્મી કોમ્પલેક્ષ બહાર આડેધડ ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ, ગલ્લા, કાઉન્ટરો સહિત પતરાના બે શેડ તથા પાર્કિંગની જગ્યામાં બનાવેલ પાકા ઓટલા પર બુલડોઝર ફેરવી દીધું હતું. ખાણીપીણીના ગલ્લા અને હાટડીઓ રોજંદી મંડાઈ છે અને સ્થાનિક રહીશોને કોમ્પ્લેક્સ સહિત સોસાયટીઓમાં આવવા જવાની ભારે તકલીફ પડે છે એ અંગે ગઈકાલે રાત્રે ભારે હોબાળો હતો. પરિણામે પાલિકા તંત્રમાં આજે રજાનો દિવસ હોવા છતાં પણ દબાણ શાખાની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં બુલડોઝરના સહારે તમામ 10-12 લારી ગલ્લાના કાઉન્ટરો અને પતરાના બે શેડ સહિત પાર્કિંગની જગ્યામાં બનાવેલો પાકો ઓટલો પાલિકાની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે બુલડોઝર ફેરવી દીધું હતું. ઘટના સ્થળેથી દબાણ શાખાની ટીમે એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. પાલિકા તંત્રની કાર્યવાહી વખતે સ્થાનિક લોકોના ટોળેટોળા હતા પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ સંયમ દાખવીને લોક ટોળાને ખસેડ્યા હતા.