Gujarat

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા

By GS TEAM
8 Jun 20262 mins read
TukuTouch Logo
મહેસાણા જિલ્લાના વિસનગરથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1 ના ભારતીય જનતા પાર્ટી (BJP) ના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા

Visnagar BJP Leader died news : મહેસાણા જિલ્લાના વિસનગરથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1 ના ભારતીય જનતા પાર્ટી (BJP) ના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વહેલી સવારે સ્મશાન નજીક જીવન ટૂંકાવ્યું

પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસનગરના ગણેશનગર સોસાયટીમાં રહેતા દીપક મોદીએ આજે વહેલી સવારે આઘાતજનક પગલું ભર્યું હતું. તેઓ પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સામેથી આવી રહેલી વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેન નીચે આવી જવાથી નગરસેવકનું શરીર બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું.

બિનહરીફ ચૂંટાયા હતા, પાલિકામાં પક્ષના નેતા હતા

દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકામાં ભાજપના સક્રિય અને અગ્રણી નેતા હતા. તેઓ તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1 માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠન શક્તિને ધ્યાનમાં રાખીને તેમને પાલિકામાં ભાજપના પક્ષના નેતા (લીડર) તરીકેની મહત્ત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

ઘટનાસ્થળે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટ્યા

આ દુઃખદ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, તેમના પરિચિતો અને ભાજપના કાર્યકરો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. વિસનગર શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, અન્ય નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પક્ષના એક નેતાના અકાળ અવસાનથી ભાજપ પરિવારમાં પણ ભારે આઘાત જોવા મળ્યો હતો.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી પંચનામું અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રેન અકસ્માતના ભયાનક દ્રશ્યો વચ્ચે મૃતદેહના અવશેષોને એકઠા કરી વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. દીપકભાઈ મોદીએ કયા કારણોસર આટલું આકરૂં પગલું ભર્યું અને આત્મહત્યા પાછળ શું કારણ હોઈ શકે, તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.