વિસાવદર પેટાચૂંટણી: AAPની ફરિયાદ પછી બે બુથ પર આવતીકાલે ફરી મતદાન થશે
Visavadar by-election : ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરવામાં આવ્યું છે. જેથી હવે આ બંને બુથ પર આવતીકાલે શનિવારે (21 જૂન) સવારે 7:00 થી સાંજે 06:00 વાગ્યામાં ફરીથી મતદાન થશે. વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર કરાશે.
વિસાવદરના બે બુથ પર ફરી મતદાન થશે
મળતી માહિતી મુજબ, AAPની બુથ કેપ્ચરિંગની ફરિયાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વિસાવદરના નવા વાઘણિયા ગામના બુથ નંબર 111 અને માલીડા ગામના બુથ નંબર 86 પર પુનઃ મતદાન યોજાવાનો નિર્ણય કર્યો છે. આ બંને બુથ પર બુથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની ફરિયાદોની ગંભીરતાથી તપાસ કરાઈ હતી.
આ નિર્ણયની સાથે ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થાની તૈયારી દર્શાવી છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા અગાઉ મદિરા અને પૈસાની લેવડદેવડ મુદ્દે સ્ટિંગ ઓપરેશન અને જનતા રેડ પણ કરી હતી. તેમ છતાં પેટા ચૂંટણીમાં ગડબડી થતાં AAPએ ફરિયાદ દાખલ કરી હતી.