દેવદર્શનમાં પણ VIP કલ્ચરનું દુષણ: ધર્મસ્થાનોને અધિકારીઓ-નેતાઓના રોફનો લુણો, ગુજરાતમાં પણ કોર્ટની ફટકારની જરૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

VIP Darshan Debate: મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે મંદિરોમાં ‘વીઆઈપી દર્શન પ્રથા’ને ભેદભાવપૂર્ણ ગણાવી મંત્રીઓ અને ધારાસભ્યોને શાબ્દિક ફટકાર લગાવી હતી. આ ઉપરાંત કરોડો આસ્થાળુઓમાં સવાલ ઊઠી રહ્યા છે કે ગુજરાતનાં ધર્મસ્થાનકોમાં પણ મહાનુભાવોને દર્શનમાં અગ્રતા શા માટે? ચેન્નાઈમાં વિશ્વ હિન્દુ પરિષદના જ એક પદાધિકારીએ આ પ્રથાને જાહેર હિતની અરજી મારફત પડકારી છે, ત્યારે ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોમાં સંખ્યાબંધ દર્શનાર્થીઓની કતારને બાયપાસ કરીને અફસરો ઉપરાંત શાસક પક્ષના નેતાઓને ઈશ્વર સન્મુખ થવામાં મળતી રહેતી પ્રાયોરિટી અટકાવવા કાનૂની લપડાક આવશ્યક થઈ પડી હોવાનો જનમત પ્રવર્તે છે.
સાળંગપુરમાં પાર્કિંગથી લઈને દર્શનમાં વીઆઈપીને અગ્રતા
સાળંગપુર મંદિરે દર શનિ- રવિ ઉપરાંત વેકેશન અને ખાસ કરીને પૂનમે દર્શનાર્થીઓની ચિક્કાર ગિકદી વચ્ચે પૂનમે સામાન્ય માણસોનાં વાહન દૂર- બહાર પાર્ક કરાવાય છે. પરંતુ વીવીઆઈપીની કાર પણ છેક મંદિરમાં લઈ જવા દેવાય છે અને તેને ચોક્કસ ગેઈટમાંથી છેક દાદાની મૂર્તિ સન્મુખ દર્શનાર્થે પણ પહોંચાડી દેવાય છે. એમના પછી બીજું લેયર વીઆઈપી માટે હોય છે, જેમને પણ બહુ રાહ જોવી પડતી નથી, જ્યારે ત્રીજું લેયર સામાન્ય દર્શનાર્થીઓ માટે હોય છે! અલબત્ત, વીઆઈપી દર્શન માટે એક પૈસો પણ લેવાતો નથી અને હજારો ભક્તજનો માટે પ્રસાદ સહિતની વ્યવસ્થા પણ સરાહનીય છે. પરંતુ ઘણાં દર્શનાર્થીઓમાં ક્યારેક વીઆઈપી કલ્ચર સામે ઘૂંધવાટ પણ પ્રવર્તતો હોય છે.
સોમનાથમાં વીઆઈપી પ્રથા ઉપરાંત ભાવિકોને ખૂંચતી તત્કાલ પૂજા
દેશનાં 12 જ્યોતિર્લિંગ પૈકી પહેલા એવા સોમનાથ ખાતે દેશ- વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે. સોમવાર, શ્રાવણ મહિનો, દિવાળી પર્વ, વેકેશન જેવા સમયે લાંબી કતારો લાગે છે. એવા સમયે પણ જ્યારે- જ્યારે ટોચના બ્યુરોક્રેટ્સથી માંડીને નેતાઓ- મંત્રીઓ સહિતના વીઆઈપી આવી ટપકે તો જનસંપર્ક વિભાગ મારફત નોંધ કરાવડાવીને તેમને દર્શનાર્થે સીધા જ અંદર લઈ જવામાં આવે છે.
ખૂદ વડાપ્રધાન જેના અધ્યક્ષ છે એ સોમનાથ ટ્રસ્ટે જો કે વૃદ્ધો- બીમાર લોકો માટે ગોલ્ફ કાર અને ઉનાળામાં તમામ દર્શનાર્થીઓ માટે છાયડા સહિતના અનેક આવકાર્ય પ્રબંધો કરેલા છે. પરંતુ 5100 રૂપિયા ચૂકવવાથી તત્કાલ પૂજા થઈ શકે એવી વ્યવસ્થા પણ આવા મહત્ત્વનાં દેવસ્થાનકે આસ્થા ગણાવાઈ રહી છે. સામાન્ય માણસો માટે જ્યાં કેમેરા- મોબાઈલ પ્રતિબંધિત છે ત્યાં તાજેતરમાં ભાજપના નેતાઓએ કથિતપણે કરાવેલાં ફોટોસેશન બાદ સોશિયલ મીડિયામાં મુકેલી તસ્વીરોને લીધે પણ સવાલ ઉઠ્યા હતા.
દ્વારકાધીશમાં શનિ- રવિ ચાર ધ્વજા વીઆઈપી માટે રિઝર્વ
ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીમાં દ્વારકાધીશ મંદિરે ધ્વજા ચડાવવાનું ભાવિકોને મન અનેરું મહત્ત્વ છે. અહીં આ માટે 10 વર્ષનું વેટિંગ છે એના પરથી જ તેનાં મહત્ત્વનો અંદાજ આવી શકે છે. જો કે, રોજની છ ધ્વજા પૈકી પહેલી અને પાંચમી ધ્વજા માટે ચિઠ્ઠી નાખીને આખા મહિનાનો ડ્રો કરવામાં આવે છે એ તો કોઈને પણ લભ્ય બની શકે છે. પરંતુ એ પૈકી દર શનિ- રવિની બે- બે ધ્વજા કલેક્ટર હસ્તક હોય છે. મતલબ કે, ગમે એટલું વેટિંગ હોય તો પણ કોઈ ધારાસભ્ય કે મંત્રી યા બીજાં કોઈ વગદારો કલેક્ટરની ‘બા- કાયદા’ ભલામણથી ત્યારે ધ્વજા ચડાવડાવી શકે છે! આ ઉપરાંત, દર્શનમાં વીઆઈપીને દેવસ્થાન સમિતિ મારફત કતારો વચ્ચેથી આગળ પહોંચી જવાની છૂટ પણ મળે છે અને એમાં જો કોઈ મંત્રી વગેરે હોય તો તો પોલીસ કાફલો પણ ભીડ ચીરીને લઈ જતો હોવાથી દર્શનાર્થીઓ અચંબિત રહી જાય છે.









