Gujarat
છાણી મુક્તિધામને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બચાવવા ગ્રામજનો મેદાને : રવિવારે છાણી ગામ બંધનું એલાન
By GS TEAM
1 Aug 20251 min read

છાણી સ્મશાનના ખાનગીકરણ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્રિત થઈ ઢોલ નગારાના તાલે વિવિધ વિસ્તારોમાં ફરી સહી ઝુંબેશ સાથે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. રવિવારે છાણી ગામ બંધના એલાન સાથે માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
શહેરના તમામ 31 સ્મશાનોના ખાનગીકરણ મામલે ભારે વિવાદ સર્જાયા બાદ વડોદરા શહેર ભાજપ દ્વારા સ્મશાનો અગાઉની સ્થિતિ મુજબ યથાવત રાખવાની વાત મૂકી હતી. જોકે, હજુ પણ સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ શમી રહ્યો નથી. આજે છાણી ગામના સ્મશાનના ખાનગીકરણનો વિરોધ પ્રદર્શિત કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ઢોલ નગારાના તાલે લોક સમર્થન મેળવવા સહી ઝુંબેશ સાથે આંદોલન શરૂ કર્યું હતું. આ અંગે સ્થાનિક આગેવાનનું કહેવું હતું કે, અમે કોન્ટ્રાક્ટરના લાકડાથી અંતિમ સંસ્કાર નહીં કરીએ, કોર્પોરેશનએ કોઈ નિશુલ્ક વ્યવસ્થા ઊભી કરી નથી તેમાં પ્રજાના ટેક્સના નાણાનો ઉપયોગ થવાનો છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી છે, તા. 3 ઓગસ્ટ રવિવારના રોજ છાણી ગામ બંધનું એલાન છે, તા.4 સોમવારે મ્યુ.કમિશનર તથા કલેકટરને આવેદનપત્ર પાઠવીશું, માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન આગળ ધપાવીશું. જ્યારે અન્ય એક આગેવાનનું કહેવું હતું કે, વર્ષોથી સુવ્યવસ્થિત રીતે જાણી સ્મશાનનું સંચાલન થતું હતું, હવે ખાનગીકરણ કરી ટ્રસ્ટને દૂર કરવામાં આવ્યું છે.








