Get The App

કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી

સેક્શન ક્લિયર હોવા છતાં ફાટક એક કલાક સુધી ન ખોલવાના આક્ષેપ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પરેશાન

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી 1 - image

કરચિયા ગામ ખાતે રેલવે ફાટક(લેવલ ક્રોસિંગ-૨૪૧)ની સમસ્યાથી ફરી એક વખત વિવાદ સર્જાયો છે. વારંવારની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ ગઈકાલે મોટી સંખ્યામાં કરચિયા રેલવે ફાટક પર એકત્ર થઈ ભારે હોબાળો મચાવ્યો હતો.ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિને સંભાળી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે, રેલવે સેક્શન ક્લિયર હોવા છતાં ફાટક એક કલાક સુધી ખોલવામાં આવતી નથી. જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે. દશરથ, રણોલી, બાજવા, આજોડ અને કોયલી સહિતના ગામોના આશરે પાંચ હજારથી વધુ લોકો દરરોજ આ ફાટકનો ઉપયોગ કરે છે. નોકરિયાત વર્ગ પણ સમયસર ગંતવ્ય સ્થાને પહોંચી શકતો નથી.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ વિરોધ કરવામાં આવતા ડેપ્યુટી કલેક્ટર સ્થળ પર આવ્યા હતા અને ડીઆરએમને ૨૦ મિનિટમાં ફાટક ખોલવાની લેખિત સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આ આદેશનું પાલન થતું નથી.

આરપીએફ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ડીઆરએમ સમક્ષ રજૂઆત કરવામાં આવે. બીજી તરફ ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે મોટી સંખ્યામાં ફાટક પર ધરણાંની ચીમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રણોલી બ્રિજ પ૨ સમારકામની કામગીરીને કારણે ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. જેના કારણે ભારદારી વાહનો કરચિયા રેલવે ફાટક પરથી પસાર થતા ટ્રાફિકનો ભાર વધ્યો છે. આ ઉપરાંત છેલ્લા પાંચ મહિનાથી રેલવેનું ગરનાળુ પાણી ભરાવાને કારણે બંધ હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે.