તારાપુરના સાંઠ ગામે શાળામાં ભરાયેલા પાણીમાં ઢોલ વગાડી ગ્રામજનોનો વિરોધ
- 20 વર્ષ જૂની સમસ્યા છતાં ઉકેલ લવાતો નથી
- પાણી ભરાતા 210 પૈકી અડધા જ વિદ્યાર્થીઓ આવતા શિક્ષણ પર અસર : સત્વરે ઉકેલ લાવવા માંગ
તારાપુર : તારાપુર તાલુકાના સાંઠ ગામની પ્રાથમિક શાળામાં ૨૦ વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે કંટાળેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઢોલ વગાડી વિરોધ કર્યો હતો.
તારાપુર તાલુકાના સાંઠ ગામમાં ચોમાસા દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે આવતા પણ અચકાય છે. શાળામાં ૨૧૦ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ હાલ સ્કૂલે માત્ર ૧૦૦ વિદ્યાર્થીઓ આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાના કારણે સ્કૂલના કેટલાક ઓરડા જર્જરિત થયા હતા જે ઓરડા ચોમાસા પહેલા જ પૂર્વ આયોજન વિના ઉતારી લેવાયા અને હવે સમસ્યા એટલી વકરી છે કે વિદ્યાર્થીઓને બેસવા માટે માત્ર બે જ વર્ગખંડ છે. ઉલ્લેખનીય છે કે, આ જ ગામના અંબાલાલભાઈ રોહિત ૧૦ વર્ષ સુધી ધારાસભ્ય અને રાજ્યના નાયબ દંડક પણ રહી ચૂકેલા છે. પણ દુઃખ ની વાત તો એ છે કે તાલુકાના વિકાસની વાતો એક તરફ રહી પરંતુ પોતાના ગામની પ્રાથમિક શાળાનો આ વિકટ પ્રશ્ન તેઓ પોતાના સત્તાકાળ ના દશ વર્ષમાં હલ કરી શક્યા નહીં. તારાપુર તાલુકા શિક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લવાતો નથી.
પાળી પદ્ધતિથી શાળા ચલાવવા મંજૂરી મંગાઈ છે : આચાર્ય
આ અંગે શાળાના આચાર્ય રમેશભાઈએ જણાવ્યું હતું કે, શાળામાં વરસાદી પાણી ભરવાનો પ્રશ્ન વર્ષો જૂનો છે. નિકાસમાં ઘાસ ઊગી નીકળવાને લઈ પાણી નીકળતું નથી. જર્જરિત ઓરડાઓ ઊતારી લીધા હોવાથી પાળી પદ્ધતિથી શાળા ચલાવવા મંજૂરી માંગવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે શાળામાં પાણી ભરાવાથી મતદારોને હાલાકી
રવિવારના રોજ સાંઠ ગામમાં સરપંચની ચૂંટણી યોજવાની છે. આજ પ્રાથમિક શાળામાં વર્ષોથી ચૂંટણી બૂથ છે. પરંતુ શાળામાં વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકો મતદાનને લઈ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે.