નડિયાદના મહોળેલ ગામમાં વીજ ધાંધિયાથી ગ્રામજનોને હેરાનગતિ
- હાઈ-લૉ વોલ્ટેજ, વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા
- વીજ ઉપરકરણો બળતા ગ્રાહકોને નુકસાન : નવું વીજ ટ્રાન્સફોર્મર નાખી બે વાયરમેન મૂકવા માંગ
રજૂઆતમાં જણાવ્યું છે કે, નડિયાદ તાલુકાના મહોળેલ ગામમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર હાઇ-લા વોલ્ટેજ, અચાનક વીજ પુરવઠો ખોરવાઇ જતા ગ્રામજનોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે. એમજીવીસીએલના વાયરમેન ન હોવાથી જેસીબી મશીન બોલાવી જીવના જોખમે ચઢી પંચાયતના વાયરમેન દ્વારા વીજપુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. વીજ ધાંધિયા અંગે એમજીવીસીએલ ચકલાસી સબ સ્ટેશનમાં રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તાજેતરમાં ગામના ગાંધી ચોક, બસ સ્ટેન્ડ, જાધવ ફળિયા વિસ્તારમાં અનેક ઘરોમાં ટેલિવિઝન, ફ્રિજ, પંખા ઘરઘંટી અને અન્ય જરૂરી ઉપકરણોને નુકસાન થયું હતું. ત્યારે એમજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકોને ઉપકરણોના નુકસાનનું વળતર ચૂકવવાની માંગણી પણ કરાઈ છે. ગામની વસ્તી આશરે ૧૫,૦૦૦ જેટલી છે. જેથી મહોળેલ ગામમાં વીજ પુરવઠાને સુધારવા માટે ત્વરિત નવી અને મજબૂત વીજ લાઈન નાંખવા, જરૂર હોય તો નવા ટ્રાન્સફોર્મર, નવું સબ-સ્ટેશન, અને બે વાયરમેનની નિમણૂક કરવાની ગ્રામજનો સહિતનાની માંગણી છે.