મહુધાના વડથલમાં વિજેતા સરપંચના વિજય સરઘસને રોકવામાં આવ્યું
- ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
- હારેલા ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા રીસ રાખી 3 લોકોને માર માર્યાનો દાવો
સરપંચની ચૂંટણમાં વિજેતા બન્યા બાદ મોહમદહુસૈન મલેક અને તેમના સમર્થકો વિજય સરઘસ કાઢવા માટે બસ સ્ટેન્ડ પાસે એકઠા થયા હતા. જોકે, ગામમાં તંગદિલીભર્યો માહોલ હોવાથી પોલીસે તેમને સરઘસ કાઢવાની મંજૂરી આપી ન હતી. પોલીસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગામમાં માહોલ ખરાબ હોય સરઘસ ન કાઢશો. વિજેતા સરપંચ મોહમદહુસૈન મલેકનો દાવો છે કે, હારેલા ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થકો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. વિજેતા સરપંચે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમર્થકો સાથે બસ સ્ટેન્ડથી ગામ તરફ વરઘોડો કાઢવાની તૈયારી કરતા હતા, તે વખતે પોલીસે તેમના સમર્થકોને ગાડીમાં બેસાડી અને ઘરે મોકલી દીધા હતા. આ ઘટનાને પગલે વડથલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હોવાની પમ માહિતી મળી રહી છે. સમગ્ર ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.