શિહોરથી ઘાંઘળી તરફ આવતા જતાં વાહનોને ડાયવર્ઝન અપાયું

- રેલવે ઓવરબ્રીજના ચાલી રહેલા કામના કારણે
- જાહેરનામું પ્રસિદ્ધ : આગામી 2 જુલાઈથી 31 જુલાઈ સુધી ડાયવર્ઝન રૂટ પરથી વાહન પસાર કરવાના રહેશે
આગામી તા. ૨ જૂલાઈથી તા.૩૧ જૂલાઈ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાના રહેશે. જેમાં માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો શિહોરથી વાયા શિહોર જીઆઈડીસી થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી પસાર કરવાના રહેશે. એ જ રીતે વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર જીઆઈડીસી થઇ શિહોર શહેર તરફ આવતા વાહનો વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી વાયા નેસડા ગામ થઇ શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી પસાર કરવાના રહેશે.
જ્યારે શિહોરથી વાયા શિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહનો ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા (ખોડીયાર)થી નવાગામ (ચીલોડા)થી રંગોલી ચોકડી થઇ ભાવનગર- વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી પસાર કરવાના રહેશે. તો વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર જીઆઈડીસી થઇ શિહોર શહેર તરફ આવતા વાહનો વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર નવાગામ (ચીલોડા)થી રાજપરા (ખોડીયાર)થી શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી પસાર કરવાના રહેશે. જે અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.









