વાહન માલિકોને ખોટા મેમા પધરાવી દિધાઃઈ-ડિટેક્શન પ્રોજેક્ટમાં છબરડા
ટોલ પ્લાઝામાં નંબરપ્લેટના આધારે અપાતા ઇ-ચલણમાં લોચો
૩૫૦ ખોટા મેમા જનરેટ થતા વાહન ચાલકોના આરટીઓમાં ધામા ઃ વીમો હોવા છતા મેમા અપતા હોવાની ફરિયાદ ઉઠી
ગાંધીનગર : રાજ્ય સરકારે વાહન વ્યવહારના નિયમોના પાલન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૃ કર્યું છે જેના ભાગરૃપે ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જ્યારે કોઈ વાહન ટોલપ્લાઝા ઉપરથી પસાર થાય છે ત્યારે જો વાહનમાં ફિટનેસ, ઇન્સ્યોરન્સ,પીયુસી કે પરમિટ ન હોય તો વાહનના નંબરના આધારે જે તે વાહનમાલિકને ઇ-મેમો ફટકારવામાં આવી છે અને સોફ્ટવેર દ્વારા ઇ-ચલણ જનરેટ કરાય છે.
છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી આ સિસ્ટમમાં ગાંધીનગરમાં જ
૩૫૦ જેટલા ખોટા મેમો જનરેટ થયા હોવાનું બહાર આવ્યું છે. આના કારણે ઘણા વાહનચાલકો
રજૂઆત કરવા માટે આરટીઓ કચેરીએ પહોંચ્યા હતા. મળેલી માહિતી મુજબ, મોટાભાગના ખોટા
મેમો વીમો હોવા છતાં જનરેટ થયા છે. આ ઘટના વાહનચાલકો માટે મોટી હાલાકીનું કારણ બની
છે કારણ કે તેમને નિયમોનું પાલન કર્યું હોવા છતાં ખોટા દંડ ભરવાની નોબત આવી રહી
છે. આ સમસ્યાના નિરાકરણ માટે હવે વાહન સોફ્ટવેરમાં વીમાની વિગતો ચકાસીને આવા મેમો
કેન્સલ કરી દેવામાં આવશે આ ઉપરાંત,
વાહનચાલકોએ વીમો લીધા બાદ ૨૪ કલાકમાં વાહન-ફોરમાં ડેટા અપડેટ થતો ન હોવાનું પણ
સામે આવ્યું છે, જેના
કારણે પણ ખોટા મેમો જનરેટ થતા હોય છે. આ ઉપરાંત કેટલીકવાર સ્પેલિંગ મિસ્ટેક અથવા
આંકડાની ભૂલને કારણે પણ વીમો હોવા છતાં તે વાહન-ફોરમાં દેખાતો નથી પરિણામે ખોટા
મેમો ઇશ્યુ થાય છે.આવી પરિસ્થિતિઓમાં,
ડેટા અપડેટ ન થવાને કારણે અથવા ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલોને કારણે ખોટા મેમો
જનરેટ થતા હોવાનું સામે આવી રહ્યું છે.