Gujarat

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા

By GS TEAM
12 Apr 20261 min read
માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા

અમદાવાદ,રવિવાર

શહેરના વટવામાં અવારનવાર માથાભારે તત્વો દ્વારા આતંક ફેલાવવાની ઘટના બને છે. ત્યારે સોશિયલ મિડીયામાં વધુ એક ઘટના વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. જેમાં છ માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને યુવકના ઘરના દરવાજા પર તલવારના ઘા મારીને ભયનો માહોલ ફેલાવ્યો હતો.  આ અંગે વટવા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

 વટવામાં આવેલા ઇન્સાનિયતનગર ચાર માળિયામાં રહેતા સિનિયર સિટીઝન આબીદાબાનું શેખ શનિવારે ઘરની બહાર હતા. ત્યારે આદીલ શેખ, ફારૂક ગરદન, મોઇન, હુસૈન સહિતના છ શખ્સો ખુલ્લી તલવાર સાથે આવ્યા હતા. તેમણે આબીદાશેખને કહ્યું હતું કે સાકીર ક્યાં છે આજે તેને છોડવાનો નથી. જેથી તે ડરીને ઘરમાં જતા રહ્યા હતા. આ સમયે માથાભારે લોકોએ તલવારથી દરવાજા પર ઘા મારીને આસપાસમાં પણ ભયનો માહોલ બનાવ્યો હતો. જે વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા વટવા પોલીસ દોડતી થઇ હતી અને તેમણે આબીદાબાનુની ફરિયાદને આધારે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં ચારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હત્યાના ગુનામાં વૃદ્ધાનો પુત્ર સંડોવાયેલો હોવાની આશંકાને પગલે આ ઘટના બની હતી.