Ahmedabad News : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં વર્ધમાન ડેવલપર્સની નંદની બિલ્ડિંગ હેપીનેસ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રણ શ્રમિક સેન્ટિંગ પાટા પરથી નીચે પટકાયા હતા. આ ઘટનામાં બે શ્રમિકોના મોત અને એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સેન્ટિંગ પાટા પરથી પટકાતા 2 શ્રમિકના મોત, એકનો ઈજા
મળતી માહિતી મુજબ, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર સેન્ટિંગ પાટા પરથી ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. આ ઘટનામાં શાંતિલાલ માનત અને દેવીલાલ ભીલ નામના બે વ્યક્તિના મોત થયા હોવાનું જણાય છે. મૃતક રાજસ્થાનના ઉદયપુર અને ડુંગરપુર જિલ્લા રહેવાસી હતા.
દુર્ઘટના સવારે ઘટી, પરંતુ સાંજ સુધી પોલીસથી છૂપાવી
શહેરના આંબાવાડી વિસ્તારમાં વર્ધમાન ડેવલપર્સની નંદની બિલ્ડિંગ હેપ્પીનેશ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે ગુરુવારે (1 જાન્યુઆરી, 2026) સવારે 10થી 11 વાગ્યા વચ્ચે શ્રમિકો સેન્ટિંગ બાંધાવાનું કામ કરી રહ્યા હતા, આ દરમિયાન દુર્ઘટના સર્જાતા ત્રણ શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા હતા. જોકે, ઘટના સવારે બની પરંતુ સાંજ સુધી પોલીસથી છૂપાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઘટનામાં ઈજાગ્રસ્ત એક શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


