વાપીમાં બેદરકારીની પરાકાષ્ઠા, બે કર્મચારીઓ જીવતા દટાયા પણ PWDના અધિકારીઓએ કહ્યું ‘આવી કોઈ ઘટના બની જ નથી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News: વાપી શહેરમાં કાચબા ગતિએ ચાલતું ઓવરબ્રિજનું કામ હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. બુધવારે ગાંધી સર્કલ પાસે શીતલ એપાર્ટમેન્ટ સામે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાડામાં કેબલ રિપેરિંગ કરી રહેલા BSNLના બે કર્મચારીઓ અચાનક માટી ધસી પડતા દટાઈ ગયા હતા. સદનસીબે, સ્થાનિકોની સમયસૂચકતાને કારણે બંનેનો જીવ બચી ગયો છે.
કેવી રીતે બની ઘટના?
ઓવરબ્રિજના પિલર નિર્માણ માટે કોન્ટ્રાક્ટરે ખોદેલા ઊંડા ખાડાઓને કારણે BSNLની ટેલિફોન કેબલ કપાઈ ગયો હતો. આ લાઈન રિપેર કરવા માટે BSNLના 32 વર્ષીય જે.ઈ. (JE) અભિષેક દુબે અને 35 વર્ષીય બિતેશ્વર સાહુ સ્થળ પર પહોંચ્યા હતા. બંને કર્મચારીઓ જ્યારે ખાડામાં ઉતરીને કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુની ઢીલી માટીનો મોટો ઢગલો અચાનક તેમની પર ધસી પડ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બંને કર્મચારીઓ ગળા સુધી માટીમાં દટાઈ ગયા હતા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. જો થોડી મિનિટો મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
આ પણ વાંચો: પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતાં બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરો, AMC કમિશનરનો કડક આદેશ
દેવદૂત બની આવ્યા સ્થાનિક લોકો
ઘટના જોઈને શીતલ એપાર્ટમેન્ટના રહીશો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. કોઈ સાધનોની રાહ જોયા વગર લોકોએ હાથેથી માટી હટાવવાનું શરૂ કર્યું અને ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં એક કર્મચારીને કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
PWD અધિકારીની શરમજનક નિવેદનબાજી
આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં અને સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હોવા છતાં, PWDના અધિકારી પાર્થે આ ઘટનાને સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો. તેમણે દાવો કર્યો કે, તેઓ કલાકો સુધી ત્યાં જ હતા અને આવી કોઈ ઘટના બની જ નથી! અધિકારીનો આ આત્મવિશ્વાસભર્યો ઈનકાર વિભાગની બેદરકારી અને માનવતાહીન અભિગમ છતો કરે છે.
શું કોઈના મોતના સમાચારની રાહ જોવાય છે?
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ઓવરબ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ અને સુરક્ષાના માપદંડો વગર ચાલી રહ્યું છે. ખાડા ખોદીને મહિનાઓ સુધી ખુલ્લા મૂકી દેવામાં આવે છે. ઘટના સમયે સ્થળ પર કોઈ કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝર હાજર નહોતો. વાપીની જનતા હવે માંગ કરી રહી છે કે તંત્ર આ કુંભકર્ણી નિદ્રામાંથી જાગે અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂરું કરે.








