અમદાવાદ,તા. 7 ઓક્ટોબર 2022, શુક્રવાર
ગુજરાતમાં હાલમાં જ શરુ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે અકસ્માતનો ભોગ બની હતી. જે બાદ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ભેંસના માલિક સામે ફરિયાદ નોંધી છે.
ટ્રેન વટવાથી મણિનગરના ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.
આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે, આ ઘટનાને કારણે થોડું નુકસાન થયું છે. ટ્રેનના સંચાલન પર કોઈ અસર થઇ નથી. ટ્રેન તેના નિર્ધારિત સમય પર ચાલી રહી છે. શર્માએ જણાવ્યું હતું કે, ટ્રેન સમયસર ચલાવવામાં આવશે.
રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે, ગુજરાતમાં ગાય અને ભેંસનો ઉછેર કરનાર વંદે ભારતના ટાઇમટેબલથી વાકેફ નથી. આ જ કારણ છે કે, ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું. હવે તેમને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: વંદે ભારત'નું રાતોરાત કરાયું સમારકામ, રાખવામાં આવશે આ તકેદારીઓ


