વંદે ભારત એક્સપ્રેસને વલસાડમાં વધારાનું સ્ટોપેજ અપાતા 5 સ્ટેશન પરના આ ટ્રેનના સમયમાં ફેરફાર
Additional stoppage In Valsad : કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા થોડા દિવસ પહેલા વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 20901/20902 ને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે, ત્યારે અન્ય પાંચ સ્ટેશન પર ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. રેલવે વિભાગે ટ્રેનના સમયમાં ફેરફારને લઈને જાણકારી આપી છે.
ગાંધીનગરથી ઉપડનારી ટ્રેનના સમયમાં ફેરફાર
રેલવે વિભાગ મુજબ, વંદે ભારત એક્સ્પ્રેસને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ અપાતા આગામી 27 અને 28 જુલાઈથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ ટ્રેનના સમયમાં ફેરફારો અમલમાં આવશે. જેમાં 27 જુલાઈ, 2025ના રોજથી ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર ટ્રેન 17:51 કલાકે વલસાડ સ્ટેશન પહોંચશે અને 17:53 કલાકે ઉપડશે.
જેથી આ ટ્રેન ગાંધીનગર કેપિટલથી 14:05 કલાકને બદલે 5 મિનિટ વહેલા એટલે કે 14:00 કલાકે ઉપડશે. ટ્રેનના સમયમાં ફેરફાર થયો છે, ત્યારે અમદાવાદ, આણંદ, વડોદરા અને સુરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે.
જ્યારે આગામી 28 જુલાઈ, 2025થી મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નં.20901 07:56 વાપી સ્ટેશન પહોંચશે અને પછી 08:19 વાગ્યે વલસાડ સ્ટેશન પર પહોંચ્યા બાદ 08:21 વાગ્યે ટ્રેન પ્રસ્થાન કરશે. જેમાં વલસાડ સ્ટેશનને વધારાનું સ્ટોપેજ આપતાં સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.