કરૂણાંતિકા: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા 7ના મોત, 28 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Accident News: વલસાડના કપરાડા તાલુકાના વીરક્ષેત્ર ગામે આજે(22 એપ્રિલ) એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા મહેમાનો સવાર એક પીકઅપ વાન અચાનક દુર્ઘટનાનો શિકાર બની હતી. આ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, રસ્તામાં આવતા એક ચઢાણ પર વાન ચઢી રહી હતી ત્યારે અચાનક વાન રિવર્સ આવવા લાગી હતી અને તે જ સમયે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરતાં વાન રિવર્સમાં આવવા લાગી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી.
7ના મોત, 28ને ઈજા
આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનમાં સવાર અન્ય 28 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તો પૈકી 10 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, તમામ લોકો વલસાડના ગિરનારા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખુશીના પ્રસંગે ગયેલા પરિવારોમાં આ અકસ્માતને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.








