Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ભાડાના ફ્લેટમાં રહેતા પતિ-પત્ની અને બે વર્ષના બાળકના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 28 વર્ષના મૃતક શિવમ વિશ્વકર્માએ શેર બજારમાં રોકાણ કર્યું હતું, જેના કારણે છેલ્લા ઘણા સમયથી તે ડિપ્રેશનમાં હતા. આ સાથે અન્ય કોઈ કારણ છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ અને તરત જ પોલીસે જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે ઉમરગામ પોલીસ સાથે ડી.વાય.એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ પહેલા પોતાના માસૂમ બાળકની હત્યા કરી અને પછી પોતાનુ જીવન ટૂંકાવી લીધું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારના આપઘાતના કારણો અંગે તપાસ ચાલી રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામને ગમગીન કરી દીધું છે.
મૃતકોમાં 28 વર્ષના શિવમ વિશ્વકર્મા, તેમના પત્ની આરતી દેવી કે જેઓ 25 વર્ષના હતા અને અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે.


