વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Umargam Pali Karambeli crime : ગુજરાતના સરહદી વિસ્તાર એવા ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં બનેલી એક ઘટનાએ માનવતાને ઝકઝોરી મૂકી છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ગૃહકલેશના કારણે એક પરિણીતાએ પોતાના જ ત્રણ માસૂમ ફૂલ જેવા બાળકોની કથિત રીતે હત્યા કરી હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મૃતક બાળકોમાં બે જોડિયા શિશુઓ પણ સામેલ છે. બનાવની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
9 મહિનાના જુડવા ભાઈઓ અને 3 વર્ષની દીકરીનું મોત
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનામાં જે ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત થયા છે, તેમાં માત્ર 9 મહિનાના જુડવા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ચર્ચા છે કે માતા નિશાબેન સંજયભાઈ હળપતિ (ઉંમર આશરે 22 વર્ષ) એ પોતાના આ ત્રણેય સંતાનોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ માતાની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વહાણવટી પતિ સાથે થયો હતો ઝઘડો
સ્થાનિક સૂત્રો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, બાળકોના પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ (ઉંમર આશરે 25 વર્ષ) વહાણમાં નોકરી કરે છે અને થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા. ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના આઘાતમાં અને ગુસ્સામાં આવીને માતાએ રાત્રિના સમયે આ લોહિયાળ પગલું ભર્યું હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે. મૃતક બાળકોની ફોઈએ પણ મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી છે કે માતાએ જ કલહના કારણે બાળકોને મોત આપ્યું છે.
પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટની રાહ
ભીલાડ પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચીને આસપાસના પુરાવા એકત્ર કરી રહી છે. ઘરના સભ્યો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે, બાળકોને કયો ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો કે અન્ય કોઈ રીતે શ્વાસ રૂંધીને હત્યા કરાઈ છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે બાળકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી દેવાયા છે અને એફએસએલ (FSL) ની ટીમની મદદ લેવાઈ રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે.









