- ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે
વલસાડ, તા. 29 ઓક્ટોબર 2022, શનિવાર
વડા પ્રધાને થોડા સમય પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી ત્યારબાદ પાટા પર દોડતી થયેલી વંદેભારત ટ્રેનને સતત અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે વલસાડના અતુલ નજીક ત્રીજી વખત વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે.

વલસાડના અતુલ નજીક આ ઘટના બની હતી. વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી જેથી ટ્રેનને મોટું નુકસાન પહોંચ્યું છે. ટ્રેનને અકસ્માત નડતા જ રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. અકસ્માતમાં વંદેભારત ટ્રેનનો આગળનો ભાગ તૂટ્યો છે. તો ટ્રેનના એન્જિન નજીક નીચે ભાગમાં પણ નુકસાની થઈ છે.

વધુ વાંચો: બે દિવસમાં બીજો અકસ્માત: વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ
વંદે ભારત ટ્રેનને આ ત્રીજો અકસ્માત નડ્યો છે. આ અગાઉ ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. તો તેના બીજા જ દિવસે આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક જ મહિનામાં ટ્રેનને ત્રીજો અકસ્માત નડ્યો છે. મહત્વની વાત એ છે કે, આ ત્રણેય અકસ્માત રખડતા ઢોરને કારણે સર્જાયા છે.


