હતભાગી ફ્લાઈટની જગ્યાએ લંડનથી મિત્રે બીજી ફ્લાઈટની ટિકિટ મોકલતા યુવાનનો બચાવ
વડોદરાઃ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયા બાદ હાહાકાર વ્યાપી ગયો છે.આ ઘટનામાં એકને બાદ કરતા વિમાનમાં બેઠેલા તમામે જીવ ગુમાવ્યો છે.જેમાં વડોદરાના કેટલાક લોકોનો પણ સમાવેશ થાય છે.
જોકે શહેરના ફતેપુરા વિસ્તારના પાંજરીગર મહોલ્લામાં રહેતા ઈબ્રાહિમ મન્સૂરી નામના યુવાન માટે જોકે વિધાતાએ અલગ જ લેખ લખ્યા છે.આ યુવાન વતી લંડન ખાતે રહેતા તેના મિત્ર સફવાન વહોરાએ આ જ હતભાગી ફ્લાઈટની ટિકિટ બ્લોક કરાવી રાખી હતી અને છેલ્લી ઘડીએ આ ફ્લાઈટની ટિકિટ બૂક કરાવવાનો વિચાર માંડી વાળ્યો હતો અને તેની જગ્યાએ તા.૧૫ જૂનની અમદાવાદથી લંડન જતી અન્ય ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી હતી.જેના કારણે ઈબ્રાહિમ મન્સૂરીનો બચાવ થયો છે
ઈબ્રાહિમ મન્સૂરી પાસે વર્ક પરમિટ પર બે વર્ષનો વિઝા છે.ત્યાં તે ડિલિવરી બોય તરીકે કામ કરે છે.તેણે કહ્યું હતું કે, ઈદના કારણે પંદરેક દિવસ માટે હું ઘરે આવ્યો હતો.હજી વર્ક પરમિટના ૬ મહિના બાકી હોવાથી હું લડન પાછો જવાનો હતો.વડોદરાના જ મારા મિત્ર અને લંડનમાં રહેતા સફવાન વહોરાએ પહેલા તા.૧૨ જૂનની એર ઈન્ડિયાની અમદાવાદથી લંડનની ટિકિટ બ્લોક કરાવી હતી.એ પછી તેનું મન માન્યું નહોતું.મેં આ ફ્લાઈટમાં જ લંડન પહોંચવાનો આગ્રહ કર્યો હતો પણ સફવાને કહ્યું હતું કે, મારુ દિલ નથી માનતું.તું આ ફ્લાઈટમાં ના આવ...અને તું આ ફ્લાઈટમાં આવવા માગતો હોય તો હું એરપોર્ટ પર તને લેવા નહીં આવું..એ પછી તેણે તા.૧૧ જૂન એટલે કે ગઈકાલે મને તા.૧૫ જૂનની ફ્લાઈટની ટિકિટ મોકલી હતી.
સફવાન વહોરાના ભાઈ અને ઈબ્રાહિમના ભાઈ એઝાઝે કહ્યું હતું કે, આજે બપોરે જ્યારે અમને વિમાન ક્રેશ થયું હોવાની ખબર પડી તો પહેલા તો અમે સ્તબ્ધ થઈ ગયા હતા. ઉપરવાળાની આ મહેરબાની જ કહી શકાય.બાકી આજની ફ્લાઈટની ટિકિટ કરાવી હોત તો કદાચ ઈબ્રાહિમ અમારી વચ્ચે ના હોત.