વડોદરા: હરણી રોડ પર શ્રમજીવી મહિલાનો આપઘાત, જે ઝાડની ડાળીઓ કાપતા ત્યાં જ ફાંસો ખાધો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરાના હરણી રોડ પર આવેલી વિજયનગર વસાહત પાસે એક શ્રમજીવી મહિલાએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. નિધિ ફ્લેટ પાછળ રહેતા ચુનારા પરિવારની આ મહિલાના આપઘાતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. વારસિયા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોફા રિપેરિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મળતી માહિતી અનુસાર, હંસમુખભાઈ ચુનારા જૂના સોફા ખરીદી તેને રિપેર કરીને વેચવાનો વ્યવસાય કરે છે. તેના પત્ની ધનતાબેન પણ આ કામમાં પતિને પૂરતી મદદ કરતા હતા. સોમવારે (16મી માર્ચ) જ હંસમુખભાઈ હૈદરાબાદથી અઢી લાખ રૂપિયાની કિંમતની બકરી અને તેનું બચ્ચું ખરીદીને લાવ્યા હતા. પરિવારમાં બધું સામાન્ય જણાતું હતું, પરંતુ મંગળવાર (17મી માર્ચ)ની સવારે ધનતાબેને આત્યંતિક પગલું ભરી લીધું હતું.
ગળાફાંસો ખાધો પણ કોઈને શંકા ન ગઈ
ઘટનાની ચોંકાવનારી વિગત એ છે કે ધનતાબેન અવારનવાર ઘર નજીક આવેલા મંદિર પાસેના ઝાડ પર લાકડા કે ડાળખીઓ કાપવા માટે ચડતા હતા. આજે સવારે પણ જ્યારે તેઓ ઝાડ પર હતા, ત્યારે આસપાસના લોકોને એમ જ લાગ્યું કે તેઓ હંમેશની જેમ ડાળખીઓ કાપી રહ્યા છે. જોકે, લાંબો સમય સુધી હલચલ ન જણાતા તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે તે જ ઝાડ પર ફાંસો ખાઈ લીધો છે.
પોલીસ તપાસ શરૂ
બનાવની જાણ થતા જ વારસિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ હાલ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે જેથી આપઘાત પાછળના સાચા કારણોનો ઘટસ્ફોટ થઈ શકે.









