વડોદરા ભુવા નગરી બની: અકોટાથી મુંજમહુડાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના અકોટા થી મુંજમહુડા જવાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા છે જેની જાણ કોર્પોરેશન થતા થડ પર પહોંચી જઈ પુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી.
સંસ્કાર નગરી અને કલાનગરી તરીકે ઓળખાયેલ વડોદરા હવે ભુવા નગરીના બદલે મોતની ભૂવાનગરી ઓળખવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. અગાઉ માંજલપુર વિસ્તારની ખુલ્લી ગટરમાં પડી જતા નિર્દોષ યુવકનું મોત થયું હતું. ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં અત્યાર સુધીમાં પડેલા અનેક ભુવાના કારણે નાના મોટા અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ અકોટા- મુજ મહુડા વિસ્તારમાં નજીકના અંતરે મસ મોટા અને ઉંડા બે ભૂવા પડ્યા છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પણ એક જ જગ્યાએ વારંવાર ભુવા પડ્યાના પણ બનાવો બન્યા હતા.
દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પંચતારક હોટલથી મુંજમહુડા તરફ જવાના રસ્તે અગાઉ પડેલા ભુવાનું પેચ વર્ક પણ થયું હતું. પરંતુ પેચ વર્ક વખતે યોગ્ય કાળજી લેવામાં આવી નહીં હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે. નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઈન લીકેજ થતી હોવાથી સતત વહેતા પાણીના કારણે માટીનું ધોવાણ થતા આ ભુવા પડ્યા હોવાનું સ્પષ્ટ નજરે ચડે છે. બંને ભુવા એટલા ઊંડા છે કે અંધારામાં જતો કોઈ રાહદારી ભુવામાં પટકાઈ જાય તો પણ કોઈને જાણસુધ્ધાં થઈ શકે નહીં એટલા ઊંડા છે.
આમ હવે ચોમાસા વગર પણ શહેરમાં ભુવા પડવાની કોઈ નવાઈ નથી. આ બંને ભુવા સાક્ષાત મોતના કુવા સમાન જણાઈ રહ્યા છે.
તંત્ર રોડ રસ્તા નીચેથી પસાર થતી જૂની વરસાદી ગટરો અંગે યોગ્ય આયોજન કરીને પાઇપલાઇન બદલવાની કાર્યવાહી કરીને ભુવાના કારણે થતા અકસ્માતોનું અને જાનમાલનું નુકસાન અટકાવે એવી માંગ છે.








