વડોદરા: વર્ષો જૂનો પ્રતાપ નગર બ્રિજ જર્જરિત બન્યો
- બ્રિજની રેલિંગ ખખડધજ બનતા ગમે ત્યારે પડે તેવી શક્યતા
- આમરણાંત ઉપવાસની ચીમકી
- બ્રિજ રીપેરીંગ માટે કોર્પોરેશન દ્વારા દરખાસ્ત તૈયાર કરાઈ
વડોદરા, તા. 22
વડોદરા શહેરમાં આવેલા પ્રતાપ નગર રેલવે ઓવરબ્રીજની રેલિંગ જર્જરિત થઈ ગઈ છે અને તેમાં મોટી મોટી તિરાડો પડી ગઇ છે. નીચે પસાર થતા કોઈના માથે પડે અને જીવલેણ અકસ્માત થાય તે અગાઉ તેનું રિપેરિંગ કરવું જરૂરી બન્યું છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ને જોડતો આ મહત્વપૂર્ણ બ્રિજ આશરે બત્રીસ વર્ષ જૂનો છે, અને એ સમયની ડિઝાઈનને ધ્યાનમાં રાખીને બંધાયો છે, રેલિંગ પણ તે વખતની ડિઝાઇન મુજબ બનાવી છે .હવે જે નવા બ્રિજ બનાવાય છે તેમાં રેલિંગ હેવી આરસીસીની બનાવવામાં આવે છે. સામાજિક કાર્યકર ના કહેવા મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાં મોટા બ્રિજ બનાવવામાં આવે છે અને નવા નવા બ્રિજ ઉભા કરવાની ઘોષણા કરાય છે. ત્યારે વર્ષો જુના બ્રિજ રિપેરિંગ પાછળ પણ ધ્યાન આપવાની જરૂર છે.
પ્રતાપ નગર બ્રિજ ની રેલિંગ ની હાલત ખખડધજ બની છે. તેને હાથ અડાડતાં તેમાંથી પોપડા ખરે છે, અને આખું મટીરીયલ ઉખડીને નીચે પડે છે. થોડા સમય અગાઉ આ બ્રિજની રેલિંગ નો ભાગ તૂટ્યો હતો. સતત વાહન વ્યવહારને કારણે બ્રિજને ઘસારો લાગ્યો છે. નીચે સર્વિસ રોડ પસાર થાય છે. જો કોઈ ભાગ તૂટીને નીચે પડશે તો જીવલેણ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. જો આ બ્રિજ તાકીદે રીપેર નહીં કરાય તો વિસ્તારના લોકો આમરણાંત ઉપવાસ પર બેસશે તેવી ચીમકી અપાઇ છે. દરમિયાન કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું છે કે બ્રિજ રીપેરીંગ માટે આયોજન થઈ ચૂક્યું છે અને સ્ટેન્ડિંગ સમિતિમાં તેની દરખાસ્ત પણ મોકલી આપી છે. એજન્ડા પર દરખાસ્ત લાવીને તે મંજૂર કરાય એટલે રીપેરીંગ કામ શરૂ કરાશે.