Gujarat

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ

By GS TEAM
2 Apr 20262 mins read
TukuTouch Logo
297 કિમી ટ્રેક પર ‘કવચ’ સિસ્ટમ, 10 સ્ટેશન બન્યા નેટ ઝીરો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ

Western Raiways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કામગીરી, સુરક્ષા, મુસાફર સેવા અને આવક જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર આવક પ્રાપ્ત કરી છે. 

કરજણ–ડભોઈ–પ્રતાપનગર ડેમૂ માટે ટ્રાયલ રન હાથ ધરાયો

વડોદરા–કઠાણા મેમૂ સેવા ફરી શરૂ કરવામાં આવી છે, જ્યારે મિયાગામ કરજણ–ડભોઈ–પ્રતાપનગર ડેમૂ માટે ટ્રાયલ રન હાથ ધરાયો છે. ઉપરાંત એકતાનગર–નિઝામુદ્દીન એક્સપ્રેસના સમય અને દિવસમાં મુસાફરોની માગ મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રતાપનગર સ્ટેશનને વડોદરાનું સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.

ખાતર અને કન્ટેનર લોડિંગમાં વધારો નોંધાયો

માલગાડીઓની સરેરાશ ઝડપ 23.89 કિમી પ્રતિ કલાક નોંધાઈ છે. માલ પરિવહનમાં 13.46 મિલિયન ટન લોડિંગ કરીને લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. ખાતર અને કન્ટેનર લોડિંગમાં વધારો નોંધાયો છે અને એક જ દિવસે 33 રેક તથા 1397 વેગનોની સર્વોચ્ચ લોડિંગ નોંધાઈ છે.

વર્ષ દરમિયાન રૂ.697.57 કરોડની મુસાફર આવક પ્રાપ્ત થઈ છે. નોન-ફેર આવકમાં રૂ.7.23 કરોડની કમાણી થઈ છે. 

20 સ્ટેશનો પર પ્લેટફોર્મ રિ-ડેવલોપમેન્ટની કામગીરી પૂર્ણ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યારે ગોધરા સ્ટેશન પણ તૈયાર છે. ડેરોલમાં 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ તૈયાર થયો છે અને અન્ય 8 ફૂટ ઓવર બ્રિજનું કામ ચાલુ છે. 20 સ્ટેશનો પર પ્લેટફોર્મ વિસ્તરણ અને ઉંચાઈ વધારવાના કામ પૂર્ણ કરાયા છે.

સોલારથી રૂ.2.92 કરોડની બચત 

વિભાગે 2.722 MWp ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે, જેનાથી દર વર્ષે 3.64 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થાય છે અને લગભગ રૂ.2.92 કરોડની બચત થાય છે. રૂફટોપ સોલારથી 10 સ્ટેશનોને નેટ ઝીરો બનાવવામાં આવ્યા છે.

17 લેવલ ક્રોસિંગ દૂર થયા, વધુ 679 CCTV કેમેરા લગાવ્યા

સુરક્ષા ક્ષેત્રે 297 કિમી ટ્રેક પર ‘કવચ’ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે ટ્રેન સંચાલનને વધુ સુરક્ષિત બનાવે છે. 17 લેવલ ક્રોસિંગ દૂર કરવામાં આવ્યા છે, તેમજ 5 રોડ ઓવરબ્રિજ અને 3 અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. 42 સ્ટેશનો પર 679 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

ટ્રેક  ઓળંગતા 7901 ઝડપાયા, ગુમ 103 બાળકોને શોધી કાઢ્યા 

રેલવે સુરક્ષા દળ દ્વારા ટ્રેસપાસિંગ સામે અભિયાન ચલાવી 7901 લોકોને ઝડપવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માતોમાં ઘટાડો થયો છે. ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ 103 બાળકોને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા છે, જ્યારે ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત રૂ.1.73 કરોડની કિંમતની વસ્તુઓ મુસાફરોને પરત અપાઈ છે. સ્ક્રેપ મેનેજમેન્ટમાં પણ વિભાગે રૂ.78.67 કરોડનું સ્ક્રેપ વેચાણ કરી લક્ષ્યાંક કરતાં 31 ટકા વધુ આવક મેળવી છે.