વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે

વડોદરાઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. આ હત્યા બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સલામતીનો મુદ્દો ચિંતાજનક બન્યો છે અને તેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ અને ડીઈઓ કચેરી દ્વારા એક તા.૨૯ ઓગસ્ટ, શુક્રવારના રોજ આજવા રોડ ખાતેના પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
બપોરે એક થી બે દરમિયાન યોજનારા સેમિનાર માટે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોના ટ્રસ્ટીઓ, આચાર્યો, સિક્યુરિટી એજન્સીના પ્રતિનિધિઓ, વાલી મંડળના પ્રતિનિધિઓને ફરજિયાત હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.વડોદરા પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજનારા સેમિનારમાં સ્કૂલોના અને વાલી મંડળના પ્રતિનિધિઓને સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કયા પ્રકારની તકેદારી રાખવી તેની જાણકારી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ડીઈઓએ પણ સ્કૂલોને શિસ્ત સમિતિની રચના કરવા માટે પરિપત્ર પાઠવીને આદેશ આપ્યો હતો.હવે પોલીસ દ્વારા પણ આ માટે સ્કૂલોને સૂચના આપવામાં આવશે.








