Gujarat

વડોદરા પોલીસ તંત્રનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ : માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાયા

By GS TEAM
1 Sep 20252 mins read
TukuTouch Logo
ભક્તજનોનું ભવ્ય આતિથ્ય માણતા શ્રીજી મૂર્તિઓનું વિવિધ વિસ્તારમાંથી ભાવપૂર્વક વિસર્જન થઈ રહ્યું છે ત્યારે મહોત્સવના સાતમા દિવસે જૂની ગઢી વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાશે ત્યારે શહેર પોલીસ તંત્ર માટે બંદોબસ્તનો એસિડ ટેસ્ટ થશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસ તંત્રનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ : માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાયા

Vadodara Police : ભક્તજનોનું ભવ્ય આતિથ્ય માણતા શ્રીજી મૂર્તિઓનું વિવિધ વિસ્તારમાંથી ભાવપૂર્વક વિસર્જન થઈ રહ્યું છે ત્યારે મહોત્સવના સાતમા દિવસે જૂની ગઢી વિસ્તારના શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાશે ત્યારે શહેર પોલીસ તંત્ર માટે બંદોબસ્તનો એસિડ ટેસ્ટ થશે. જોકે મહોત્સવ પ્રસંગે માંજલપુરના શ્રીજી મૂર્તિ પર કેટલાક અસામાજિક તત્વોએ કરેલા અટકચાળાથી સમગ્ર પોલીસ તંત્ર બંદોબસ્તના હાઈ એલર્ટ પર સમગ્ર સંવેદનશીલ સહિત અન્ય વિસ્તારોમાં પોલીસ તંત્ર સહિત આરએએફ સહિત અન્ય ટીમો સઘન ફુટ પેટ્રોલિંગ સતત કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ માથાભારે તત્વોને તંત્ર દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે આ એસિડ ટેસ્ટમાં પોલીસ તંત્ર શાંતિ જાળવવામાં ખરી ઉતરે તો મહોત્સવ પ્રસંગે વિસર્જનનો અંતિમ દિવસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ નિશ્ચિત છે. 

ઉલ્લેખનીય છે કે શ્રીજી મહોત્સવની ઉજવણીમાં ભક્તજનો મશહગુલ બન્યા છે.  ભક્તજનો દ્વારા હવે પોત પોતાના ઘરે શ્રીજી મૂર્તિ સ્થાપનનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે નિયત સમયે ભક્તજનો દ્વારા ઘર આંગણે વિશાળ ટબ કે પછી ડ્રમમાં ભરેલા સ્વચ્છ પાણીમાં નાચ ગાન સાથે શ્રીજી મૂર્તિનું ભાવપૂર્વક વિસર્જન કરીને ધન્ય બન્યા હતા. 

જોકે શ્રીજી મૂર્તિના આગમન ટાણે પાણીગેટ વિસ્તારમાંથી માંજલપુરની શ્રીજી મૂર્તિ સાથે ભક્તજનો અને આયોજકો પસાર થઈ ગયા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ શ્રીજીની મૂર્તિ સવારી પર ઈંડાનો મારો ચલાવ્યો હતો. પરિણામે વાતાવરણ તંગ બન્યું હતું. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પણ સમગ્ર શહેરમાં પડ્યા હતા. વાતાવરણ બગડે એ અગાઉ પોલીસ તંત્રએ  વિવિધ તરકીબોથી અને ટીમો બનાવી ટીમ સાથે  સઘન ચેકિંગ કર્યું હતું અને સીસીટીવી ટીવી પણ ખંગાળવાનું શરૂ કર્યું હતું. જેમાંથી સમગ્ર દુર્ઘટનાનો પર્દાફાશ થતા માથાભારે બે વ્યક્તિની અટકાયત કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ સમગ્ર ઘટનામાં સામેલ આખી ટોળકીને પોલીસ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. 

જ્યારે બીજી બાજુ આ દુર્ઘટનાના પડઘા અન્ય વિસ્તારમાં અને મહોત્સવ દરમિયાન ફરીવાર ન પડે એ અંગે સમગ્ર પોલીસ તંત્ર સતર્ક થયું હતું. દરમિયાન મહોત્સવના સાતમા દિવસે જૂની ગઢીમાં સ્થાપન કરાયેલા શ્રીજી મૂર્તિનું આવતીકાલે આનબાન શાનથી વાજતે ગાજતે સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થશે. આ પ્રસંગે સમગ્ર પોલીસ તંત્રનો એસિડ ટેસ્ટ થશે. જેથી અગાઉની બનાવના છાંટા ન પડે તેથી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્તનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બીએસએફના જવાનો અને એસઆરપી સહિત રેપિડ એક્શન ફોર્સની ટીમો પણ તૈનાત કરાઇ છે. આ તમામ ટીમો સહિત પોલીસ તંત્રની વિવિધ ટીમોએ જુદા જુદા સંવેદનશીલ સહિત વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. જ્યારે પોલીસ તંત્રએ શહેરના કેટલાક માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરી લીધા છે.