Get The App

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી 1 - image

Vadodara Ajwa Lake : વડોદરા શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજવા સરોવરની સપાટી આઠ વર્ષ બાદ ફરી એકવાર 205 ફૂટની નજીક પહોંચી જતાં પાણી પુરવઠાને લઈને ચિંતા વધી છે. 

હાલમાં આજવા સરોવરની સપાટી ઘટીને 205.68 ફૂટ નોંધાઈ છે. અગાઉ વર્ષ 2018 દરમિયાન પણ સરોવરની સપાટી 205 ફૂટની આસપાસ પહોંચી હતી. આજવા સરોવર શહેરના પૂર્વ વિસ્તાર માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. સામાન્ય રીતે સરોવરની સપાટી 209 ફૂટથી ઉપર હોય ત્યારે ગ્રેવિટી દ્વારા પાણી શહેર સુધી પહોંચે છે. પરંતુ હાલ સપાટી 209 ફૂટથી નીચે ઉતરી જતાં પોન્ટુન પંપની મદદથી પાણી ઉલેચીને વડોદરા શહેર સુધી પહોંચાડવાની ફરજ પડી રહી છે.

 સરોવરની સપાટી સતત ઘટી રહી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી વ્યવસ્થાપન અને લાંબા ગાળાના આયોજન સામે પણ સવાલો ઊભા થયા છે. ચોમાસાની સત્તાવાર શરૂઆત હજુ થઈ નથી અને હાલમાં માત્ર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. 

જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે અને જળસંગ્રહમાં વધારો નહીં થાય તો વડોદરા કોર્પોરેશનને સરદાર સરોવર નિગમ લિમિટેડની નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાનો વિકલ્પ અપનાવવો પડી શકે છે. બીજી તરફ હાલ શહેરના અનેક વિસ્તારોમાં અઘોષિત પાણી કાપની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં પાણીના દબાણની સમસ્યાએ નાગરિકોની મુશ્કેલીઓ વધારી છે.

 તંત્ર વરસાદની રાહ જોઈ રહ્યું છે અને આજવા સરોવરમાં પૂરતી પાણી આવક થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યું છે. જોકે વરસાદ ખેંચાય તો શહેરના પાણી પુરવઠા પર વધુ ગંભીર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.