Vadodara MS University: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની 100થી વધુ વિધાર્થિનીને આઠમી જુલાઈની રાતે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના પછી મધરાતે એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રિક્ષાઓ અને પોલીસ જીપ સહિતના વાહનોમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ યુવતીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની અસર થઈ હતી. આ ઘટનાની જાણ થતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ચીફ વોર્ડન સહિતના લોકો સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. સદનસીબે, હાલ વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી મોટા ભાગની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના એસ.ડી. હૉલમાં રહે છે. આ વિદ્યાર્થિનીઓએ મંગળવારે રાત્રે ભોજનમાં પનીરનું શાક, રોટલી અને ખીર જેવી વાનગી ખાધી હતી. બાદમાં રાત્રે 11 વાગ્યા બાદ તેમને પેટમાં દુખાવો અને ઉલટી થવા લાગી હતી. આ અંગે હોસ્ટેલ વોર્ડનને જાણ કરાઈ હતી, પરંતુ ત્યાં સુધી બીજી પણ અનેક વિદ્યાર્થિની બીમાર થઈ ગઈ હતી.




