વડોદરા, તા. 03
ચારિત્ર્ય અંગે વહેમ રાખી દારૂ ઢીંચી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતાં એન.આર.આઇ પતિ વિરુદ્ધ પરણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ અત્યાચાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે , બીમાર હોવા છતાં પતિએ દારૂ ઢીંચી ગંદી હરકતો કર્યાના આક્ષેપ પરણીતાએ કર્યા છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2004 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ મારા લગ્ન ધર્મેન્દ્રભાઈ રેવાભાઈ પટેલ ( રહે- આકાંક્ષા ડુપ્લેક્સ, સમતા )સાથે થયા હતા. વર્ષ 2014માં પતિને સાઉદી અરેબિયા ખાતે નોકરી મળતાં બાળકો સાથે સાઉદી અરેબિયા સ્થાયી થયા હતા. જ્યાં પતિ મારી ઉપર શંકા રાખી દારૂ ઢીંચી , અપશબ્દો બોલી, હું બીમાર હોવા છતાં ગંદી હરકતો કરતો હતો. બાળકોના ભણતર માટે હું બાળકો સાથે પરત આવી ગઈ હતી. અને પતિ દર ત્રણ-ચાર મહિને આવતો હતો. પતિના મોબાઇલ ફોનમાં અન્ય છોકરીઓના ફોટા અંગે પૂછતા ઝઘડો કરી બાળકો મારફતે ખોટી અરજીઓ કરાવવી હતી. અને લગ્નના 18 વર્ષ બાદ હું ઘર નું સોનું ચોરી લઈશ તેવા આક્ષેપો કરી ડરાવી ધમકાવી રાખતા હતા.


