Gujarat

વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા નથી

By GS TEAM
27 May 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો વિકાસના મોટા મોટા વચનો સાથે જનતાના આશીર્વાદથી સત્તાના દરવાજા સુધી પહોંચ્યા છે. પરંતુ ચૂંટાયા બાદના શરૂઆતના દિવસોમાં જ અનેક નગરસેવકોની કામગીરી અને હાજરી અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા નથી

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો વિકાસના મોટા મોટા વચનો સાથે જનતાના આશીર્વાદથી સત્તાના દરવાજા સુધી પહોંચ્યા છે. પરંતુ ચૂંટાયા બાદના શરૂઆતના દિવસોમાં જ અનેક નગરસેવકોની કામગીરી અને હાજરી અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાંથી એવી ચર્ચાઓ ઉઠી રહી છે કે, અનેક કોર્પોરેટરોએ હજુ સુધી પોતાના વોર્ડ કચેરીની નિયમિત મુલાકાત શરૂ કરી નથી અને કેટલાક તો ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની મુખ્ય કચેરી સુધી પણ પહોંચ્યા નથી. ચૂંટણી દરમિયાન રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને દબાણ જેવી સ્થાનિક સમસ્યાઓ ઉકેલવાના વચનો આપનાર પ્રતિનિધિઓ હવે લોકોની નજરે શોધવા મુશ્કેલ બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા, ગટરના પ્રશ્નો, સફાઈનો અભાવ અને ટ્રાફિક જેવી સમસ્યાઓ દિવસે દિવસે વધી રહી છે. નાગરિકો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે પરંતુ ઘણા સ્થળોએ લોકોમાં એ વાતની નિરાશા છે કે કોર્પોરેટરો હવે માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત બની ગયા છે.

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, ચૂંટણી જીત્યા બાદ હવે મોટાભાગના નગરસેવકોનું ધ્યાન વિકાસકાર્ય કરતાં હોદ્દા મેળવવાની રાજનીતિ તરફ વધુ વળી ગયું છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ અન્ય મહત્વના હોદ્દા મેળવવા માટે ગોડફાધરોના શરણે જવાની રાજકીય દોડધામ તેજ બની છે. શહેરના રાજકીય વર્તુળોમાં મીટીંગો, ભલામણો અને આંતરિક લોબીંગની ચર્ચાઓ જોર પકડી રહી છે.

લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, જો ચૂંટાયા બાદના શરૂઆતના દિવસોમાં જ જનપ્રતિનિધિઓ લોકોની વચ્ચે જોવા ન મળે તો આગામી પાંચ વર્ષ દરમિયાન સામાન્ય નાગરિકોના પ્રશ્નો કેવી રીતે ઉકેલાશે? વોર્ડ કચેરીઓમાં લોકો ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે પરંતુ અનેક જગ્યાએ કોર્પોરેટરોની ગેરહાજરીના કારણે તંત્ર પર જ નિર્ભર રહેવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

ખાસ કરીને શહેરના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં રસ્તાઓની હાલત, ગટર ઓવરફ્લો, પીવાના પાણીની અનિયમિતતા અને દબાણોની ફરિયાદો વધી રહી છે. ચૂંટણી પહેલાં “દરવાજે દરવાજે સેવા”ના દાવા કરનાર કેટલાક પ્રતિનિધિઓ હવે લોકો માટે અપ્રાપ્ય બની ગયા હોવાની લાગણી મતદારો વ્યક્ત કરી રહ્યા છે. જાહેર જીવનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે માત્ર હોદ્દા મેળવવા પૂરતું રાજકારણ પૂરતું નથી. લોકો એ આશા સાથે મત આપે છે કે તેમનો પ્રતિનિધિ પ્રશ્નોની વચ્ચે ઉભો રહેશે, તંત્ર સાથે સંકલન કરશે અને વિકાસના કામોને ગતિ આપશે. જો શરૂઆતથી જ લોકો અને પ્રતિનિધિઓ વચ્ચે અંતર વધશે તો વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે નવા ચૂંટાયેલા નગરસેવકો જનતાની વચ્ચે ફરી સક્રિય બને છે કે પછી હોદ્દાની રાજનીતિમાં જ વ્યસ્ત રહી શહેરના પ્રશ્નોને પાછળ ધકેલી દે છે.