વડોદરા, તા. 25
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ટેગીંગ વિનાના રખડતા પશુ કાયમી ધોરણે ન છોડવાના વિરોધમાં વિપક્ષે દરખાસ્ત રજુ કરી પશુપાલકોને જગ્યા ફાળવ્યા બાદ નિર્ણયના અમલીકરણ માટે રજૂઆત કરી હતી.
જે અંગે પોલ એન્ડ વોટ થકી વિપક્ષની દરખાસ્ત શાસક પક્ષે નામંજૂર કરી હતી.
કોંગ્રેસના નેતા એ જણાવ્યું હતું કે રખડતા પશુને આજીવન કેદ કરવા સોલ્યુશન નથી. કોર્પોરેશન ઉપર ભારણ વધશે પહેલા પશુપાલકો માટે સુવિધા ઉભી કરવી જોઈએ ત્યારબાદ નિર્ણય લેવો હિતાવહ છે. હરાજી પ્રક્રિયા થકી સમસ્યાનો નિકાલ થઈ શકે તેમ છે. આ અંગે ,ભાજપના પ્રભારીએ જણાવ્યું હતું કે, રખડતા પશુઓની હરાજીમાં કોઈ ભાગ ન લે અગાઉનો સમય અલગ હતો. ભાજપના અન્ય એક કોર્પોરેટરએ જણાવ્યું હતું કે, પશુઓની સાથે મનુષ્યની પણ ચિંતા કરવી જરૂરી છે. પશુપાલકો ખોરાકનો ખર્ચ બચે તે માટે પશુઓને રસ્તે રઝળતા મુકી દેવાય છે. પરિણામે અકસ્માતમાં લોકો ભોગ બને છે. મેયરે જણાવ્યું હતું કે, પશુપાલકોને ટેગીંગ માટે પૂરતો સમય ફાળવ્યો છે. હાલ ખટંબા ખાતે પશુપાલકોની સુવિધા અનુસાર કેટલ હોસ્ટેલ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકાર પાસે વધુ આઠ જગ્યાની માંગ છે. જ્યાં કેટલ હોસ્ટેલ વિકસાવી શકાય અને લોકોની તથા પશુપાલકોની સમસ્યાનું હલ આવે. તદુપરાંત ભાજપના પ્રભારીએ સૂચન કર્યું હતું કે, લખનઉમાં ખાતર માંથી ગેસના ઉત્પાદન નો પ્રયોગ ચાલી રહ્યો છે. જેથી સ્થળ વિઝીટ કરી તે દિશામાં પણ વિચાર કરવો અનિવાર્ય છે.


