વડોદરા, તા. 29
મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચા બાદ તળાવોનું બ્યુટીફિકેશન કર્યું છે. જે પૈકી સિધ્ધનાથ , છાણી, હરણી ,લક્ષ્મીપુરા સહિતના તળાવો સુકાઈ જતા હવે પશુઓ માટે વૃંદાવન બન્યું છે. જે વાતને સાર્થક કરતા છાણી તળાવમાં પશુઓ વિહરતાના દૃશ્યો સામે આવ્યા છે .

છેલ્લા એક વર્ષથી છાણી ગામનું વિશાળ તળાવ બ્યુટીફીકેશન બાદ સુકાઈ જવા પામ્યું છે. વિપક્ષે બ્યુટીફીકેશનની કામગીરીની નિંદા કરી તંત્રના પાપે તળાવની પરિસ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ પણ કર્યા છે. તળાવ સુકાઈ જતા ચારે તરફ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. અને પશુપાલકોને જાણે મોજ પડી હોય તેમ પોતાના પશુઓ તળાવમાં વિહરવા માટે છોડી મૂકે છે. આ નજારો માત્ર છાણી ગામમાં જ નહીં પરંતુ બ્યુટીફીકેશન થયેલા હરણી તળાવ ,લક્ષ્મીપુરા તળાવ સહિતના સ્થળોએ જોવા મળે છે. તદુપરાંત તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે વડોદરામાં રખડતા પશુનો ત્રાસ બંધ થયો છે. પરંતુ જો તેઓ વડોદરાના રસ્તે પસાર થાય તો વાસ્તવિકતા ખબર પડે. આજે પણ નિયત સ્થળોએ રખડતાં પશુઓનો જમાવડો યથાવત જોવા મળે છે. અને કામગીરી તથા આયોજન પાછળ પ્રજાના પરસેવાની કમાણીનો વ્યય થતો ગણી શકાય તેવા દ્રશ્યો સામે આવે છે.


