For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એસએસજી હોસ્પિટલમાં વિકાસના નામે હેરિટેજનો વિનાશ - ૧૦૦ વર્ષ જુની અને સયાજીરાવે બનાવેલી હેરિટેજ ઇમારતને તોડવા સામે ભારે વિરોધ

ઇમારત સુરક્ષીત અને મજબુત હોવા છતાં તોડાતા ભારે ઉહાપોહ ઃ એક વર્ષ અગાઉ આ ઇમારત નહી તોડવા હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટે બાહેંધરી આપી હતી

Updated: Sep 30th, 2018

એસએસજી હોસ્પિટલમાં વિકાસના નામે હેરિટેજનો વિનાશ - ૧૦૦ વર્ષ જુની અને સયાજીરાવે બનાવેલી હેરિટેજ ઇમારતને તોડવા સામે ભારે વિરોધArticle Content Imageવડોદરા,તા.30 સપ્ટેમ્બર,રવિવાર

એસએસજી હોસ્પિટલ પરિસરમાં આવેલી ૧૦૦ વર્ષ કરતા પણ જુની હેરિટેજ બિલ્ડિંગને તોડવાની શરૃઆત કરાતા ભારે ઉહાપોહ મચી ગયો છે અને વડોદરાના હેરિટેજ તથા ઇતિહાસ માટે જાગૃત સંસ્થાઓએ આ બિલ્ડિંગ તોડવા સામે સખત વાંધો નોંધાવ્યો છે અને એસએસજી હોસ્પિટલ તથા રાજ્ય સરકાર સામે વિશ્વાસઘાતનો આક્ષેપ પણ કર્યો છે કેમ કે એક વર્ષ અગાઉ પણ આ બિલ્ડિંગ તોડવાની વાત આવી ત્યારે વિરોધ થતાં આ બિલ્ડિંગ નહી તોડવા એસએસજી હોસ્પિટલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

મહારાણી ચિમનાબાઇનું બાળકના જન્મ વખતે મૃત્યુ થયુ હતુ એટલે રાજ્યની અન્ય મહિલાઓ સાથે આવી દુઃખદ ઘટના ના બને તે હેતૂથી સર સયાજીરાવ ગાયકવાડે હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું અને સન ૧૮૮૫માં હોસ્પિટલને ખુલ્લી મુકી હતી. ત્યારે બોમ્બે પ્રેસિડન્સીના ગર્વનર લોર્ડ ડફરીન હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા એટલે હોસ્પિટલનું નામ ડફરીન હોસ્પિટલ રખાયુ હતું. ઉદ્ઘાટનના થોડા વર્ષો બાદ એટલે કે ૨૦ મી સદીના પ્રારંભમાં લગભગ સન ૧૯૧૦ થી ૧૯૧૫ વચ્ચે ઓપીડી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ હતું.

આ હેરિટેજ ઓપીડી બિલ્ડિંગ હાલમાં ઇમર્જન્સી વિભાગની પાછળની બાજુ આવેલ છે. આ બિલ્ડિંગ પર એસઆરજી (સયાજીરાવ ગાયકવાડ)નો સિમ્બોલ પણ પથ્થર પર કોતરાયેલો છે. બિલ્ડિંગ સુરક્ષીત છે, મજબુત છે, બાંધકામ પણ કલાત્મક છે. પરંતુ આ સ્થળે ૧૦ માળનું બિલ્ડિંગ તૈયાર કરવાનો પ્લાન મુકીને હવે આ બિલ્ડિંગ તોડવાનો પ્રારંભ કરી દેવાયો છે.

ગત વર્ષે પણ આ  બિલ્ડિંગને તોડવા માટે પ્લાન કરાયો હતો પરંતુ લોકોએ ભારે વિરોધ કર્યો હતો અને હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઉપરાંત તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરતા આ બિલ્ડિંગ નહી તોડવા બાહેંધરી અપાઇ હતી.

Gujarat