અપહરણ અને મારામારીના કેસમાં બે આરોપીઓની આગોતરા અદાલતે ફગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Court : યુવકનું રિક્ષામાં અપહરણ કરી માર મારવાના કેસમાં આરોપી વિપુલ રાઠવા અને પ્રેમ રાજપુતે અદાલતમાં આગોતરા જામીન માગ્યા હતા. 8માં એડિ. સેશન્સ જજ ડી.કે.સોનીએ પુરાવા સાથે ચેડાની શક્યતા જણાતા બંનેની જામીન અરજી ફગાવી હતી.
છોટાઉદેપુરનો માહિરકુમાર રાઠવા ગઈ તા.12 ઓક્ટોબરના રોજ મિત્રો સાથે અનગઢ દર્શન કરી પરત જઈ રહ્યો હતો. તે વખતે નૂતન શાળાની નજીકથી બાઈક અને રીક્ષામાં ઘસી આવેલ રવીન્દ્ર રાઠવા, સન્ની યાદવ સહિતના 6 શખ્સોએ માહિરનું રિક્ષામાં અપહરણ કર્યું હતું. અને સમા કેનાલ વટાવીને અવાવરું જગ્યા ઉપર લઈ જઈને સુનિલ બારીયાએ માહીરને "તે મારો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો તને વિડીયો મુકવાનો બહુ શોખ છે આજે તારો વિડીયો બનાવવાનો છે" કહી લાકડાના દંડા, પટ્ટા અને ધોકા વડે ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદના આધારે સમા પોલીસે રવિન્દ્ર શૈલેષ રાઠવા (રહે-સમા નવીનગરી ), સની હરિશ્ચંદ્ર યાદવ (રહે-ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, અભિલાષા ચોકડી), સુનિલ બારીયા અને વિપુલ રાઠવા સહિતના શખ્સો સામે ગુનો નોંધી સન્ની યાદવ તથા રવિન્દ્ર રાઠવાની ધરપકડ કરી હતી. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ વિપુલ દીપકભાઈ રાઠવા (રહે સહેલી પાર્ક, ન્યુ સમા રોડ, મૂળ રહે-છોટાઉદેપુર) અને પ્રેમ અર્જુનભાઈ રાજપુત (રહે-ઊર્મિ હોસ્ટેલ પાસે, સમા) એ પોલીસની ધરપકડથી બચવા અત્રેની કોર્ટમાં આગોતરા જામીન અરજ ગુજારી હતી. જેની 8માં એડિ. સેશન્સ જજ ડી.કે.સોનીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે એ.પી.પી. ડી.જે.નાળિયેરવાળાની દલીલો થઈ હતી કે, આરોપીઓની ઓળખ પરેડ બાકી છે. તપાસ અમલદારના સોગંદનામુ ધ્યાને લેતા આરોપીઓની ગુનામાં પ્રત્યક્ષ સંડોવણી છે. આરોપીઓ અપહરણમાં સાથે હતો અને ફરિયાદીને ધોકા વડે માર માર્યો હતો. આરોપી વિપુલ રાઠવા સામે અન્ય 20 ગુનાઓ નોંધાયા છે. આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ન્યાયાધીશએ નોધ્યું હતું કે, આરોપી ગુનો નોંધાયો ત્યારથી ફરાર છે. પેરીટીનો લાભ આપી આગોતરા જામીન ઉપર મુક્ત કરવા યોગ્ય અને ન્યાયોચિત જણાઈ આવતું નથી. આ પ્રકારના ગુનામાં આરોપીને આગોતરા જામીનથી રક્ષણ આપવામાં આવે તો તેની સમાજમાં વિપરીત અસર પડે તેમ છે.








