વડોદરા કોર્પોરેશનની એડવાન્સ મિલકત વેરો ભરવાની એક મહિનાની યોજના આજે સમાપ્ત થશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિનો માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે. આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી. લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5 ટકા વળતર અપાયું છે.
ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં એક એક ટકો વધુ વળતરનો લાભ લીધો છે. મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે. વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. વર્ષ 2025-26 માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડનો મૂકવામાં આવ્યો છે.