સફાઈ અંગે અભિપ્રાય જાણવા કોર્પોરેશન પાંચ લાખ લોકોને ફોન કરશે: એક મહિનામાં 30 હજારને કોલ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા કોર્પોરેશનની છબી સુધારવા અને ખાસ કરીને સફાઈની અસરકારક કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં લઇ કોર્પોરેશન છેલ્લા એક મહિનાથી રોજ 1000 શહેરીજરોને ફોન કરી સ્વચ્છતા મામલે તેમની ફરિયાદો અને તેમના સૂચનો મેળવે છે. જે બાદ સેનેટરીને લગતી કામગીરી ક્યાં યોગ્ય રીતે થાય છે? અને અસરકારક કામગીરી ની જરૂરિયાત છે? તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને આગળ લઈ જવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની નેમ છે. જેના લીધે તેમણે છેલ્લા એક મહિનાથી સફાઈ અને ડોર ટુ ડોરની કામગીરીને અસરકારક બનાવવા પર ભાર મૂક્યો છે. પાલિકાના કોલ સેન્ટર, આઇટી ડિપાર્ટમેન્ટ સહિતના વિવિધ વિભાગ દ્વારા રોજ 1000 જેટલા શહેરીજનોને ફોન કરવામાં આવે છે અને સ્વચ્છતા બાબતે તેમના સૂચન, મંતવ્ય અને તેમના વિસ્તારને લગતી માહિતી મેળવવામાં આવે છે. જે વિસ્તારમાં ગંદકી વધુ હોય અને જ્યાંની ફરિયાદ વધુ આવે તે જગ્યાએ સફાઈમાં વિશેષ તકેદારી લેવાની કડક સુચના દર મંગળવારે યોજાતી રિવ્યુ બેઠકમાં આપવામાં આવતી હોય છે. ખરાબ પરફોર્મન્સ કરનાર જે તે વિસ્તારના અધિકારી, કર્મચારીને સફાઈ બાબતે ખાસ તકેદારી લેવાની સૂચના આપવામાં આવે છે. તેમજ સારી કામગીરી કરનાર જે તે વિસ્તારના અધિકારી અને કર્મચારીને પ્રોત્સાહન આપવામાં આવે છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી કરેલ આ કામગીરીમાં અત્યાર સુધી અંદાજે 30,000 કોલ કરી દેવામાં આવ્યા છે અને આગામી 500 દિવસ સુધી આ કાર્યક્રમ અવિરતપણે ચાલુ રાખવાનું હાલ આયોજન છે. જેમાં અંદાજે પાંચ લાખ નાગરિકોને આવરી લઈ તેમના સૂચન, મંતવ્યોના આધારે શહેરમાં સફાઈની કામગીરી હજુ વધુ અસરકારક બનાવવામાં આવશે. અગાઉ અલગ અલગ સ્તરે પાલિકાના વિવિધ વિભાગો અંગે મળેલ ફરિયાદ તેમજ પ્રોપર્ટી ટેક્સના બિલમાં નોંધાયેલ મોબાઈલ નંબરના આધારે પાલિકા સામાન્ય નાગરિક સુધી પહોંચી સ્વચ્છતા પર ભાર મૂકવા અને શહેરને ચોખ્ખું રાખવા સક્રિય બનેલી છે.








