Gujarat

વડોદરામાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા કોર્પોરેશન દ્વારા 32 સ્થળે શેરી નાટકો ભજવ્યા

By GS TEAM
22 Aug 20252 mins read
TukuTouch Logo
હવે ગણપતિ મહોત્સવમાં લોકોની ભીડ વધુ ભેગી થશે ત્યારે આવા નાટકો ભજવાશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા કોર્પોરેશન દ્વારા 32 સ્થળે શેરી નાટકો ભજવ્યા

Vadodara Corporation : વડોદરાને ગાર્બેજ ફ્રી સીટી બનાવવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતાને લોકો વધુ પ્રાધાન્ય આપે અને ગંદકી ન કરે તે સંદર્ભે જાગૃતિ લાવવા માટે હવે શેરી નાટકના પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 32 સ્થળો પર આવા શેરી નાટકો કરવામાં આવ્યા છે કે જ્યાં લોકોને આવજા વધુ રહેતી હોય. હવે કોર્પોરેશનનું તંત્ર ગણપતિ મહોત્સવ વખતે કે જ્યારે લોકોની વધુ ભીડ થતી હોય ત્યારે સ્વચ્છતાનો મેસેજ વધુ લોકો સુધી પહોંચી શકે તે એ સમયે આવા શેરી નાટકો કરવામાં આવશે.

શાળાઓમાં પણ જઈને કોર્પોરેશનના અધિકારીઓ બાળકોને સુકો અને ભીનો કચરો છૂટો કઈ રીતે પાડવો પ્લાસ્ટિકનો વપરાશ કઈ રીતે ઓછો કરવો તેની સમજ આપી રહ્યા છે. શહેરનું સૌથી મોટું શાક માર્કેટ ખંડેરાવ માર્કેટ ખાતે અને માર્કેટ ચાર રસ્તા ખાતે સાત કલાકારોની ટીમ દ્વારા સ્વચ્છતા નો સંદેશો આપવા શેરી નાટક ભજવ્યું હતું. શહેરના તમામ 19 વોર્ડમાં શેરી નાટકો હજુ ભજવવામાં આવશે, અને લોકોને પ્લાસ્ટિક સાથે નહીં પણ પર્યાવરણ સાથે દોસ્તી કરવા, કચરો જ્યાં ત્યાં નહીં ફેંકવા, ગમે ત્યાં થૂંકવા નહીં અને ડોર ટુ ડોર કચરાની ગાડીમાં જ કચરો નાખવા લોકોને અપીલ કરાઈ હતી. માર્કેટમાં ખરીદી માટે આવતા લોકો પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ વાપરે તે માટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનો પણ મૂકવામાં આવ્યા છે. પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના અભિયાનના અનુસંધાનમાં ખંડેરાવ માર્કેટ ઉપરાંત ગોરવા શાકમાર્કેટ ખાતે આવું મશીન મુકાયું છે. કોર્પોરેશન હવે એસટી બસ સ્ટેશન, જાહેર સ્થળો, શોપિંગ મોલ વગેરે જગ્યાએ આવા મશીનો મુકવાની છે.