વડોદરા કોર્પોરેશન દ્વારા 250 કરોડની ગ્રાન્ટમાંથી 10 સ્થળે નવી ડ્રેનેજ લાઈનના કામોને પ્રાથમિકતા
Vadodara Corporation : વડોદરામાં ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું નેટવર્ક ગત ચોમાસામા જુદા-જુદા સ્થળોએ વારંવાર ભંગાણ પામેલું હતું. આ લાઈનો જૂની હોવાના કારણે ભંગાણ થતા જાહેર આરોગ્ય તથા સલામતીને ધ્યાને લઇ નવી ડ્રેનેજ ગ્રેવીટી લાઇનો નાખવાના 10 કામો અલગથી તારવવામાં આવ્યા છે. આ બધા કામો 250 કરોડના ખર્ચે સરકાર તરફથી મળનાર ડિઝાસ્ટર અને પુર રાહત ગ્રાન્ટ હેઠળ આવરી લેવામાં આવેલ છે.
જે કામો કરવાના છે, તેમાં શ્રેણિક પાર્ક સર્કલથી અકોટા દાંડિયા બજાર બ્રીજ જંક્શન થઇ અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી 96 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઈનનું કામ કરાશે. આ લાઇન 72 ઇંચ ડાયામીટરની છે. ગ્લાસ રીઇન્ફોર્સડ પાઈપ નાખવામાં આવશે. વાસણા રોડ પર રાણેશ્વર મહાદેવ મંદિરથી મનીષા સર્કલ સુધી, નટુભાઈ સર્કલથી પશાભાઈ પાર્ક થઈ ચકલી સર્કલ સુધી અને દિવાળીપુરા રોડ જંકશનથી જુના પાદરા રોડ ગાય સર્કલ થઈ સૈનિક પાર્ક સર્કલ સુધી તેમજ ગોત્રી રોડ પર યશ કોમ્પલેક્ષ જંકશનથી હરીનગર બ્રિજ સુધી નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવામાં આવશે. આ ઉપરાંત ઓ.એન.જી.સી પાસેથી બરોડા ડેરી સર્કલ થઇ સુશેન સુવેજ પંપીંગ સ્ટેશન સુધી, માંજલપુર અલવાનાકા રોડ જંકશનથી સુશેન ઓક્સીલરી પંપિંગ સ્ટેશન સુધી, માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર રોડ પર નવી ડ્રેનેજ લાઈનનું કામ કરાશે. પૂર્વ ઝોનમાં આવેલ સરદાર એસ્ટેટ પંપીગ સ્ટેશનથી વિનય સોસાયટી તરફ 12.05 કરોડના ખર્ચે ટ્રેન્ચલેશ પધ્ધતિથી નવી ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવશે.