વડોદરા, તા. 27
વડોદરા તાલુકાના વિરોદ ગામે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે દબાણો હટાવવા અંગે વારંવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થઇ નથી દરમિયાનમાં ગઈકાલે એક મહિલાનું મોત થતાં તેઓની નનામી કાઢતા મુશ્કેલી પડી હતી.
વડોદરા તાલુકાના વિરોદ ગામમાં રોહિત વાસમાં રહેતા કાલીદાસભાઈ રોહિતે અવારનવાર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર અને પોલીસમાં પણ ગેરકાયદે બાંધકામ અંગે રજુઆતો કરી હતી તેમની બાજુમાં રહેતા લાલજીભાઈ રોહિત નામના વ્યક્તિએ મકાનનું રીનોવેશન કરતા હતા જેમાં વધારાનું દબાણ કરીને કાલીદાસભાઈ રોહિતના મકાનનો દરવાજો જ બંધ કરી દીધો હતો તેમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઇ કાર્યવાહી આજદિન સુધી થઈ નહીં.
દરમિયાનમાં ગઈકાલે રોહિતવાસમાં એક મહિલાનું અવસાન થયું હતું તેઓના ઘરેથી મુખ્ય રસ્તા પર નનામી લઈ જતા પરિવારજનોને મુશ્કેલી પડી હતી જેથી આ બાબતમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મોતીભાઈ પરમાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે 2021થી ગેરકાયદે બાંધકામ તોડવા અંગે ગામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં અને જિલ્લા કલેકટર સુધી અવારનવાર રજૂઆતો કરી છે છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જ્યારે કોઈનું દુઃખદ અવસાન થાય છે ત્યારે નનામી પણ બહાર નીકળતી નથી જેથી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરવા જોઇએ.


