Gujarat

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી

By GS TEAM
25 Nov 20253 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં અપક્ષ કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું કે, મંગળવારથી ત્રણ, ચાર દિવસ શહેરના પૂર્વ વિસ્તારની અનેક પાણીની ટાંકીથી પાણી વિતરણ થશે નહીં. આપણે શટડાઉન લીધું છે પરંતુ શું હકીકતમાં શટડાઉન બેથી ત્રણ દિવસ પૂરતું જ મર્યાદિત રહેશે ? એવો સવાલ તેમણે કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પાણી વિતરણ થવાનું નથી, આ ત્રણ દિવસ કમિશનર તપાસ કરે કે સ્કાડા કેવું કામ કરે છે : આશિષ જોશી

Vadodara Water Shortage : વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં અપક્ષ કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું કે, મંગળવારથી ત્રણ, ચાર દિવસ શહેરના પૂર્વ વિસ્તારની અનેક પાણીની ટાંકીથી પાણી વિતરણ થશે નહીં. આપણે શટડાઉન લીધું છે પરંતુ શું હકીકતમાં શટડાઉન બેથી ત્રણ દિવસ પૂરતું જ મર્યાદિત રહેશે ? એવો સવાલ તેમણે કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો.

તેમણે એમ પણ જણાવ્યું કે, અગાઉ ભૂતકાળમાં આપણે જ્યારે બેથી ત્રણ દિવસનું શટડાઉન લીધું પરંતુ તે પછી ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ સુધી પૂર્વ વિસ્તારમાં યોગ્ય પ્રેશરથી પાણી મળતું નથી અને અનેક જગ્યાએ એર આવ્યા કરે છે. આ માટે તમારે આની યોગ્ય સિસ્ટમ બનાવવી જરૂરી છે. આપણે પાણીના કામ માટે ઇજારદાર બેલજીરત્ના સોરઠીયા પર એટલા હાવી થઈ ગયા છે કે શું તે કોર્પોરેશનનો જમાઈ છે? 50 વખત તેમને નોટિસ આપવા છતાં વારંવાર તેમને એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે અને તેને બ્લેકલિસ્ટ કરાતો નથી, એનું કારણ શું છે? અત્યારે આપણે જે શટડાઉન લીધું છે તે કામ તા.31 ડિસેમ્બર 2024ના રોજ પૂર્ણ થવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ આજે 11 મહિના આપણે મોડા એ કામ કરી રહ્યા છીએ. હવે જ્યારે બેથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ થવાનું નથી ત્યારે રૂપિયા 200 કરોડના ખર્ચે કોર્પોરેશને વિકસાવેલી સ્કાડા સિસ્ટમ કેવું કામ કરે છે? તેની તપાસ કરવા તેમણે કમિશનરને જણાવ્યું હતું.

જ્યારે સ્કાડા સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારે ખૂબ મોટા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ અત્યાર સુધી સ્કાડા હોવા છતાં પાણીની પાઇપમાં એર ક્યાંથી આવે છે? અને પાણી ક્યાં ટપકી રહ્યું છે? તે સિસ્ટમ બતાવી શકતું નથી. હાલ શહેરમાં લગ્નગાળો છે ત્યારે તમે પાણીનું શટડાઉન લીધું છે તેના કારણે પ્રસંગ લેનારા લોકો ખૂબ હેરાન થશે. આશિષ જોષીએ એવો પણ આક્ષેપ કર્યો કે, આપણી પાણીની લાઈન આજવાથી આવે છે પરંતુ તેનું 20થી 25% પાણી સયાજીપુરાથી નિમેટા વચ્ચે જ ચોરાઈ જાય છે. તંત્ર પાસે અનેક વખતે રજૂઆત થઈ છે પરંતુ તંત્ર કાર્યવાહી કેમ કરતું નથી? અત્યારે જે કામ કરી રહ્યા છે તે મે મહિનામાં કરવાનું હતું પરંતુ અતાપીના કારણે કામગીરીમાં વિલંબ થયો છે.

એટલું જ નહીં, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પૂર્વ વિસ્તારના હોવા છતાં તેઓ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરાવી ન શક્યા તેના કારણે શહેરીજનોને ખૂબ નુકસાન થયું છે. આ તબક્કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અતાપીમાં લાઈન મેં નાખવી હતી. તે સમયે આશિષ જોશીએ જણાવ્યું કે, તમે અતાપીને પ્રોટેક કરો છો, તેની દાદાગીરીના કારણે 40 મીટરની લાઇન નાખવામાં આપણને છ મહિના થયા, પરંતુ તમે તેને કશું કરી ન શક્યા. વારંવાર નાની નાની બાબતમાં ચેરમેન કહે છે કે, ઉપરથી ફોન આવ્યો છે, તો કેટલીવાર તમને ઉપરથી ફોન આવે છે? તે પણ જાહેર કરો. પીપીપી મોડલથી આપણે જેટલા કામ આપીએ છીએ બાદ તે જગ્યા ઈજારદાર પોતાની માલિકીની સમજી લે છે અને ત્યાર પછી આપણને ગણકારતા નથી. 

ચેરમેન બોલ્યા તમે પાર્ટીમાં હતા હવે સામે આવી ગયા છો : આશિષ જોષીએ કહ્યું, ચેરમેન બધાને તુચ્છ ગણે છે

સામાન્ય સભામાં ભાજપના પૂર્વ નગર સેવક અને અત્યારના અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીના આક્ષેપ દરમિયાન કેટલીક વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી અને આશિષ જોશી વચ્ચે ચડભડ થતી રહી. આ દરમિયાન સ્ટેન્ડિંગ અધ્યક્ષ ડો.મિસ્ત્રીએ કહ્યું કે, તમે પહેલા આપણી પાર્ટીમાં હતા હવે સામે આવી ગયા એટલે સ્વાભાવિક છે કે તમે બોલો. આ પ્રસંગે આશિષ જોશીએ કહ્યું કે, લોકોના કામ થતા નથી, હું જ્યારે ભાજપમાં હતો ત્યારે પણ આક્ષેપ કરતો હતો. પરંતુ તમે ચેરમેન બધાને તુચ્છ ગણો છો પણ બધા સમજે છે તમારી સ્થિતિ. તમે એવું તો શું કર્યું કે, નાગરિકોને રજૂઆત કરવા કોર્પોરેશનની કચેરીમાં આવા દેતા નથી અને તમારે તારા મારી દેવા પડે છે. એટલું જ નહીં, અગાઉના ચેરમેન ક્યારેય નથી ફર્યા તે રીતે તમારે બાઉન્સર લઈને શા માટે બધે ફરવું પડે છે? ત્યારે ચેરમેને જણાવ્યું કે, આ એક વ્યવસ્થાનો ભાગ છે.