વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેરની ઐતિહાસિક ધરોહરનું રક્ષણ અને જાગૃતિ ફેલાવવાના હેતુથી હેરિટેજ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માર્ચસાંજે ૭ :૩૦ વાગ્યે માંડવી દરવાજાથી શરૂ થઈ ન્યાયમંદિર માર્ગે આગળ વધી ભગતસિંહ ચોક સુધી પહોંચીને પૂર્ણ થઈ હતી. કોંગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ, છેલ્લા ૩૦ વર્ષથી શહેરમાં શાસન કરતું ભાજપા વડોદરાની ઐતિહાસિક વિરાસતને સાચવવામાં નિષ્ફળ ગયું છે. હેરિટેજ માર્ચનો મુખ્ય હેતુ શાસનને જાગૃત કરવાનો તથા શહેરની ધરોહરને બચાવવા નાગિરકોમાં સંદેશો પહોંચાડવાનો હતો. કોંગ્રેસે જણાવ્યું કે, મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને સોંપાયેલ વડોદરાના સમૃદ્ધ વારસાને જાળવવાની જવાબદારી નિભાવવામાં સરકાર અસમર્થ રહી છે. માર્ચ દરમિયાન માંડવી, ન્યાયમંદિર, લહેરીપુરા ગેટ સહિતના પ્રાર્ચીન ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ અંગે સંકલ્પ લઈ આગામી સમયમાં ધરોહર બચાવા માટે સક્રિય અભિયાન ચલાવાશે તેવું આગેવાનો દ્વારા જણાવાયું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાએ એમ પણ જણાવ્યું કે, સરદાર પટેલના વિચારો, સયાજીરાવ ગાયકવાડની વારસાગત ધરોહરનું રક્ષણ અને વડોદરાને સર્વોચ્ચ કક્ષાનું મહાનગર બનાવવાના સંકલ્પને કોંગ્રેસ ફરી એકવાર દૃઢ કરે છે.


