Gujarat

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

By GS TEAM
12 Nov 20251 min read
વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે

વડોદરા : વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજવા માટેનું આજે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિગ્ઝ લગાવી શકશે નહી તેવો આદેશ કર્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તા.૨૨ નવેમ્બર સુધી વકીલો મેમ્બર ફી ભરી શકશે. તા.૨૬ નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.૧ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરુઆત થશે અને તા.૯ ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. તા.૧૦ ડિસેમ્બરે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થયા બાદ તા.૧૯ ડિસેમ્બરે સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન થશે.

બાર એસો.માં પ્રમુખ,ઉપપ્રમુખ,જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી,ટ્રેઝરર અને લાઇબ્રેરી સેક્રેટરીની એક એક બેઠક અને મેનેજિંગ કમિટીની ૧૦ બેઠક પર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વર્ષે મેનેજિંગ કમિટીમાં મહિલા રિઝર્વની જે બે સીટ હતી તે હવે ત્રણ કરવામાં આવી છે અને ટ્રેઝરરની સીટ પણ મહિલા રિઝર્વ કરવામાં આવી છે. આ વર્ષે પ્રમુખના નોમિનેશન માટેની ફીમાં ૧૫ હજારનો વધારો કરી રૃા.૪૦ હજાર કરવામાં આવી છે.