વડોદરામાં 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાઈરસથી સંક્રમિત, અત્યાર સુધી 17 બાળકોના મોતથી હાહાકાર
Vadodara Chandipura Virus : સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બનેલા ચાંદીપુરા વાઈરસે હવે વડોદરામાં પણ દેખા દીધી છે. વડોદરા શહેરમાં રહેતું 8 મહિનાનું બાળક આ જીવલેણ વાઈરસથી સંક્રમિત થયું છે. તેને હાલ સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા બે મહિનામાં ચાંદીપુરા વાઈરસથી સંક્રમિત કુલ 27 બાળકોએ સારવાર લીધી છે. આ આંકડાઓ વધુ ભયાવહ એટલા માટે છે કારણ કે, અત્યાર સુધીમાં આ વાઈરસને કારણે 17 બાળકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં મોટાભાગના બાળકો પંચમહાલ અને ગોધરા જિલ્લાના છે.
આ વાઈરસ મુખ્યત્વે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવે છે અને તેના લક્ષણોમાં તાવ, ઉલટી, ખેંચ આવવી અને બેભાન થઈ જવું વગેરેનો સમાવેશ થાય છે. આ વાઈરસ મચ્છર દ્વારા ફેલાય છે અને ખાસ કરીને ચોમાસા અને તે પછીના સમયગાળામાં તેનો પ્રકોપ વધુ જોવા મળે છે.
વડોદરાના 8 મહિનાના બાળક ઉપરાંત મધ્યપ્રદેશનું એક બાળક પણ SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વાઈરસનો ફેલાવો પડોશી રાજ્યો સુધી પણ પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે અને વાઈરસનો ફેલાવો અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે બાળકોમાં આવા કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
ચાંદીપુરા વાઈરસના લક્ષણો
ચાંદીપુરા વાઈરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાઈરલ ચેપ છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.
ચાંદીપુરા વાઈરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે?
• સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
• આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
• સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.
• સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
• સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.