વડોદરામાં સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં યુવકનો બે દિવસે મૃતદેહ મળ્યો, આપઘાતનું કારણ અકબંધ
Vadodara Missing Man Found Dead After Two Days: ગુજરાતના વડોદરા જિલ્લાના જેલોદમાં 20 વર્ષીય યુવક અંજલ ગજાણી 10 એપ્રિલે પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. યુવક ગુમ થયો બાદમાં તેના ઘરેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સતત બે દિવસથી પરિવાર અને પોલીસ યુવકની શોધખોળ કરી રહ્યા છે. ત્યારે શનિવારે (12 એપ્રિલ) અંજલ મૃત હાલતમાં મળી આવ્યો છે.
બે દિવસ બાદ મળ્યો મૃતદેહ
મળતી માહિતી મુજબ, વડોદરાના જેલોદમાં 20 વર્ષીય યુવક અંજલ 10 એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો હતો. પરિવારે સ્યુસાઇડ નોટના આધારે અંજલની શોધખોળ હાથ ધરી હતી. સ્યુસાઇડ નોટના આધારે પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, અંજલે ખંડીવાળા નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોય શકે. પરિવારની આશંકાના આધારે પોલીસે ફાયર વિભાગની ટીમ સાથે અંજલની શોધખોળ હાથ ધરી હતી. સતત બે દિવસની શોધખોળ બાદ યુવકે જ્યાંથી કેનાલમાં ઝંપલાવ્યું હતું તેનાથી 3 કિલોમીટર દૂર કેનાલના સરણેજ ગેટ પાસે પાણીમાં તરતા જોવા મળી હતી. ગ્રામજનોએ પાણીમાં તરતી લાશ જોઈ મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બીજું કોઈ નહીં પરંતુ બે દિવસ પહેલાં ગુમ થયેલાં અંજલનો જ મૃતદેહ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં બેફામ ટ્રેક્ટર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ
અંજલના આપઘાતના નિર્ણયથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ, પોલીસે અંજલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજું સુધી અંજલે આપઘાતનું આવડું મોટું પગલું કેમ ભર્યું તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.
શું હતી ઘટના?
વડોદરાના જરોદના શ્રીજી સોસાયટીમાં રહેતાં 20 વર્ષીય અંજલ ગજાણી 10 એપ્રિલના દિવસે પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખીને ઘર મૂકીને જતો રહ્યો હતો. અંજલ આલમગઢ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેણે પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠીમાં લખ્યું કે, 'હું તમારો લાડલો અંજલ. આજે તમને બધાને મૂકીને દૂર જઈ રહ્યો છું, મારા માટે તમે જેટલું કર્યું તેના માટે ખૂબ-ખૂબ આભાર. મને માફ કરી દેજો. મારૂ મરવાનું કારણ હું નહીં કહી શકું અને તમે લોકો જાણવાનો પ્રયાસ પણ ન કરતાં Please. મારા ગયા પછી મારા મિત્રો, મારા પરિવાર કે મારા કોઈપણ નજીકના વ્યક્તિને હેરાન ન કરતાં. હું મારી મરજીથી મરવા જઉ છું, કોઈના દબાણમાં આવીને આ કામ નથી કરતો. તો Please મારા ગયા પછી કોઈને પણ હેરાન ન કરતાં. Sorry and Good Bye May All Friends. મારી મમ્મીનું ધ્યાન રાખજો અને થઈ શકે તો મને માફ કરી દેજો, Please. મારી મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ. હું મારો ફોન અને બાઇક મૂકીને જઉ છું એ વેચી દેજો Please. લોકેશન ખંડીવાડા કેનાલ.
આ પણ વાંચોઃ સુરતમાં હીરા ઉદ્યોગની મંદીની અસર? સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાંબી લાઈન
પિતાએ કરી પોલીસ ફરિયાદ
આ અંગે યુવકના પિતા જયરામદાસ ગજાણીએ જરોદ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, '10 એપ્રિલ, 2025ના દિવસે સવારના આશરે સાતેક વાગ્યે મારો દીકરો અંજલ તેની કંપનીમાં નોકરીએ ગયો હશે તેવુ મને લાગ્યું હતું. જેથી મેં તેની શોધખોળ નહતી કરી અને હું મારી દુકાને જતો રહ્યો હતો. બપોરે ઘરે આવતા મને મારી પત્ની ગીતા અને મારા મોટા દીકરા રાહુલે એક ચિઠ્ઠી બતાવી અને જણાવ્યું કે, નાનો ભાઈ અંજલ આ ચિઠ્ઠી લખીને ગયો છે. આ ચિઠ્ઠીમાં બતાવેલી જગ્યા ખંડીવાડા કેનાલ ખાતે અમારા સગા-સબંધી તથા મારા દીકરાના મિત્રો સાથે મારા મોટા દીકરા અંજલની શોધખોળ કરી હતી પરંતુ, તે ક્યાંય મળ્યો નહીં. જરોદ પોલીસે પિતાની ફરિયાદના આધારે રહસ્યમય ગૂમ અંજલ ગજાણીની શોધખોળ શરૂ કરી છે.