Gujarat

‘નર્મદે હર’ના જયઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ: સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા

By GS TEAM
19 Mar 20263 mins read
TukuTouch Logo
'પુણ્ય સલિલા' મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની આજે(19 માર્ચ, 2026) વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી 'નર્મદે હર'ના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘નર્મદે હર’ના જયઘોષ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ: સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Uttarvahini Panchkoshi Narmada Parikrama: 'પુણ્ય સલિલા' મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની આજે(19 માર્ચ, 2026) વિધિવત શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી 'નર્મદે હર'ના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. 

પ્રથમ દિવસે 10 હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યાં

નર્મદામાં 'ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા'નું વિશેષ મહત્ત્વ છે, ત્યારે વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ 10 હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં છે.

કીડી-મકોડી ઘાટ ખાતે રામપુરા, માંગરોલથી કલવાડા સહિત ઠેર-ઠેર સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે પરિક્રમાર્થીઓ માટે ઠંડા પાણી, લીંબુ સરબત, છાસ વિતરણ સહિતની સેવા લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO | નર્મદા: ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા માટે ગોવાથી 18 હાઇટેક બોટ મંગાવાઈ, રેંગણથી રામપુરા વચ્ચે ભક્તોને મળશે સુવિધા

ગોવાથી 18 હાઇટેક બોટ મંગાવાઈ

પરિક્રમા દરમિયાન શહેરાવ-તિલકવાડા ઘાટ પર કામ ચલાઉ બ્રિજની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રેંગણથી રામપુરા ઘાટ વચ્ચે બોટ સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા ગોવાથી સ્પેશિયલ 18 બોટ મંગાવવામાં આવી છે. જેમાં બોટ સેવાના સંચાલનને લઈને સ્થાનિક નાવિકો મળીને કુલ 60થી 70 ભક્તો એક સાથે બોટમાં બેસી શકશે. ચૈત્ર મહિનામાં ગરમી હોય છે, ત્યારે ભક્તોને ગરમી ન લાગે એ માટે સ્પેશિયલ ગોવાથી છત વાળી બોટ મંગવામાં આવી છે. આ સ્પીડ બોટ દ્વારા રેંગણથી રામપુરા ઘાટ માત્ર 6 મિનિટમાં પહોંચી શકાશે, સામાન્ય રીતે ફિશિંગ બોટમાં 20 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. હાઈસ્પીડ બોટમાં નર્મદા પોલીસ અને SDFRના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. 


રૂ.10 કરોડના ખર્ચે આધુનિક માળખું

દર વર્ષે ભાવિક ભક્તોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમા રહેવા અને વિશ્રામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને બેડશીટ સાથેની બેઠક વ્યવસ્થા કરાઈ છે. 

લોકોની સુરક્ષામાં પોલીસ ખડેપગે

વધુમાં શરૂઆતથી અંત સુધી આ પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચારેય ઘાટ પર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે. પરિક્રમામાં ભરૂચ, નર્મદા અને વડોદરા રેન્જના અન્ય જિલ્લામાંથી પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. 

સુરક્ષા માટે RFID અને IR ટૅક્નોલૉજીનો ઉપયોગ

ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા આધુનિક ટૅક્નોલૉજીનો આશરો લેવાયો છે. હેડ કાઉન્ટ સિસ્ટમથી ઇન્ફ્રારેડ (IR) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) દ્વારા યાત્રાળુઓની સંખ્યા અને અવર-જવર પર સતત નજર રખાશે. સમગ્ર 18 કિમીના માર્ગ અને તમામ ઘાટ પર LED અને ફ્લડ લાઇટ લગાડવામાં આવી છે, જેથી રાત્રિ દરમિયાન પણ યાત્રા સુગમ રહે. સીસીટીવી કેમેરા, વૉચ ટાવર અને વાયરલેસ કોમ્યુનિકેશન દ્વારા કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026: શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

શ્રદ્ધાળુઓ માટે ફ્રી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ

નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે. આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 19 માર્ચ, 2026થી 18 એપ્રિલ, 2026 સુધી યોજાનાર છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા yatradhamportal.gujarat.gov.in વેબસાઈટ બનાવવામાં આવી છે.